ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા તમામ પાર્ટીઓ વચ્ચે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં બીટીપીના ધારાસભ્યોએ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી.આ દરમિયાન આમ આદમી પાર્ટીના ઇશુદાન ગઢવી હાજર રહ્યા હતા.
મહેશ વસાવાએ કહ્યુ કે, તમામ પક્ષ અમારી સાથે ગઠબંધન કરવા આવે છે. અમે ગરીબોના અધિકારો માટે લડીએ છીએ. તેમણે એમપણ ઉમેર્યું કે, છોટુ ભાઇ વસાવા સાથે વાતચીત કરીને આગળનો નિર્ણય કરીશુ.
મહેશ વસાવાએ દિલ્હીની મુલાકાત બાદ કહ્યુ કે, દિલ્હીના લોકોના પ્રતિભાવો પણ અમે જાણ્યા છે. આદિવાસી વિસ્તારમાં વિકાસના કાર્યો કઇ રીતે કરી શકાય તે અંગે અરવિંદ કેજરીવાલ સાથે ચર્ચા કરી હતી. દિલ્હીની સરકારી સ્કૂલો ખાનગી સ્કૂલો કરતા પણ સારી છે. ઇસુદાન ગઢવીએ કહ્યુ કે આદિવાસીઓના પ્રશ્નોને લઇને એક કલાક સુધી બેઠક કરી હતી.
મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં આ વર્ષના અંત સુધી ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષોની નજર ગુજરાત પર છે. ગુજરાતમાં આ વખતે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળી શકે છે. બીટીપી જેવી નાની પાર્ટીઓને પોતાના પક્ષમાં સમાવવા માટે તમામ પક્ષ મહેનત કરી રહ્યા છે.