સંત આશારામજી બાપુ ગુરુકુળ માધ્યમિક શાળા સરકીલીમડીમાં ‘કર્મઠ’ મ. શિ. મગનભાઈ ટીંટીસરા સાહેબનો વય નિવૃત્તિ શુભેચ્છા સન્માન સમારોહ સંલગ્ન એસ.એસ.સી. વિદાય શુભેચ્છા સમારંભ ની શાનદાર ઉજવણી
ગત તારીખ ૨૧/૦૩/૨૦૨૨ ને સોમવારના રોજ સને ૨૦૦૩ થી સંત આશારામજી બાપુ ગુરુકુળ સંચાલિત સરકારી માધ્યમિક શાળા સરકીલીમડી ( તાલુકો – ભિલોડા, જિ- અરવલ્લી ) માં છેલ્લા ૧૭ વર્ષથી મ.શિ. તરીકેની આદર્શ સેવાઓ આપનાર માનનીય મગનભાઈ આર. ટીંટીસરા ‘ કર્મઠ ‘ સાહેબનો સંચાલક વિકાસભાઇ ખેમકા મહોદયના અધ્યક્ષ સ્થાન હેઠળ અવિસ્મરણીય મંગલમ્ વય નિવૃત્તિ શુભેચ્છા સન્માન સમારોહ તથા એસ.એસ.સી. ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ ની શાનદાર ઉજવણી કરવામાં આવી. બહુમુખી પ્રતિભાસંપન્ન મગનભાઈ સાહેબે તારીખ ૦૮/૦૮/૧૯૯૧ થી પ. પૂ. તીર્થરૂપ પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ના સ્વાધ્યાય પરિવાર સંલગ્ન જ્ઞાન વિસ્તારક સંઘ સંચાલિત શ્રી વી. એલ. હાઈસ્કૂલ નલિયા-કચ્છ મધ્યેથી તેમની કારકિર્દી શરૂ કરીને ત્યાં સતત ૧૪ વર્ષ સેવારત રહી શ્રેષ્ઠ કર્મયોગી તરીકેની આગવી ઓળખ પ્રાપ્ત કરેલ છે. ૧૪+૧૭= કુલ ૩૧ વર્ષના કાર્યકાળમાં મગનભાઈ સાહેબ પ્રણામી સંપ્રદાય, સ્વાધ્યાય પરિવાર અને પૂજ્ય બાપુજી ના આધ્યાત્મિક વિચારોથી પ્રભાવિત એવા ત્રિવેણી સંગમના ત્રિસ્પૃર્શા અનુભવો ધરાવે છે. સદર સમારંભમાં સંચાલક વિકાસભાઈ, આચાર્ય કેશુભાઈ, સમગ્ર ગુરુકુલ પરિવાર, યોગ વેદાંત સેવા સમિતિ- મોડાસાથી આદરણીય બાબુભાઈ, પ્રવીણસિંહજી, મુકેશભાઈ, સંતોષભાઈ, લતાકુંવર, આ. કાંતિભાઈ, પ્રેમજીભાઈ, જયંતીભાઈ ગામેતી, શંકરભાઈ કળબ, ભીખાભાઈ પ્રજાપતિ, રમેશભાઈ સમસ્ત ગ્રામજનો, મહેમાનો, સામાજિક કાર્યકર્તાઓ વગેરેએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સેવા નિવૃત્ત થનાર ઉમદા વ્યક્તિત્વ મગનભાઈ સાહેબની આદર્શ અને શ્રેષ્ઠ કામગીરી ને બિરદાવી પોતાના ભાવપુષ્પો રજૂ કરી ખૂબ ખૂબ મંગલમય હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. ૩૧ વર્ષ આધ્યાત્મિક સંસ્થાઓમાં જ કાર્ય કરવાનો કુદરતી સુઅવસર પ્રાપ્ત કરેલ પ્રભુની વિશેષ કૃપા પાત્ર ધન્યભાગી એવા મગનભાઈ સાહેબને સમારોહમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવોએ ‘ સન્માનપત્ર ‘ એનાયત કર્યું હતું. સાથે સાથે સમગ્ર ગુરુકુળ પરિવારે, વિદ્યાર્થીઓએ, મહેમાનોએ, ગ્રામજનોએ, સદર વિસ્તારના તમામ સ્નેહીજનોએ પણ ભેટ અર્પી હતી. અનેક દિવ્ય ગુણોથી સંપન્ન મગનભાઈ સાહેબે પણ સદર ગુરુકુલ પરિવારને ઝેરોક્ષ મશીન, પ્રિન્ટર, પોડિયમ તથા તમામ વિદ્યાર્થીઓને ડિક્શનરી નું માતબર દાન અર્પણ કર્યું હતું. સાથે સાથે ગુરુકુલ પરિવારના તમામ સભ્યોને અને સદર વિસ્તારના તમામ સાધુ-સંતો, મહંતો, પૂજારીઓ, સમાજસેવકો, મંદિરો, સામાજિક કાર્યકર્તાઓ સૌને ભેટસોગાદો અર્પી હતી. સાહેબના ગુરુકુલમાં માતબર દાન બદલ સૌએ મગનભાઈ સાહેબનો દિલથી ખૂબ ખૂબ આભાર માન્યો હતો. એસ.એસ.સી. ના વિદ્યાર્થીઓને પણ ઉપસ્થિત સૌએ શુભકામનાઓ પાઠવી હતી. ‘કર્મઠ’ મગનભાઈ સાહેબ ના શ્રેષ્ઠ કાર્યકાળના બહુઆયામી સેવાદર્પણ નું વર્ણન શબ્દોમાં કરવું શક્ય નથી, પરંતુ આ સમારંભમાં તેમની કદર રૂપે આ વિસ્તારના તમામ આત્મીય સ્નેહીજનોના દિલ શુદ્ધ ભાવથી ગદગદ હતા.
પરસ્પર લાગણીઓના ભરપૂર પ્રવાહમાં મજબૂત અખંડ સેતુરૂપે બંધાયેલ આત્મિક અનુભૂતિઓના છલોછલ સ્પંદનોની વચ્ચે ગુરુકુલ સંચાલનને અને ગુરુકુલ સ્થાપના બાદ સદર વિસ્તારને થયેલ અગણિત લાભોને સ્થાનિક જનતા-જનાર્દન દ્વારા વધાવવાની સાથે સાથે અનેરા આનંદસહ સદર સમારોહ શાનદાર રીતે સંપન્ન થયો. સમગ્ર સમારોહનું સફળ સંચાલન કુ. નીતાબેન પંચાલ અને મ.શિ. શ્રી મનીષભાઈએ કર્યું હતું.