રાજ્યમાં પેપર લીક થવાની ઘટનાઓને લઇને યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે, આ વચ્ચે અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોના યુવાનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને પરીક્ષા રદ્દ કરવાની માંગ કરી છે. શુક્રવારના રોજ અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નવયુવાનો કે જેમણે પરીક્ષા આપી હતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયાર કરતા બેરોજગાર યુવકોએ કલેક્ટરને આવેદન પત્ર આપીને વારંવાર પેપર લીકની ઘટનાઓ પર અંકુશ આવે તે માટે રજૂઆત કરી હતી. આ સાથે જ વનરક્ષકનું પેપર જે રીતે સોશિયલ મીડિયા પર વાઈરલ થયું હતું, અને મહેનત કરીને પરીક્ષા આપતા યુવાનો સાથે અન્યાય કરતા ઇસમો સામે કડક કાર્યવાહી થાય તેવી ઉગ્ર માંગ કરી હતી. આ સાથે જ યુવાનોએ ચિમકી ઉચ્ચારી હતી કે, જો આ પ્રકારની પેપર લીકની ઘટનાઓ પર અંકુશ નહીં આવે તો રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, 27 માર્ચના રોજ યોજાયેલી વનવિભાગની વન સંવર્ગ 3ની પરીક્ષાનું પેપર લીક થયાના સમાચાર સામે આવ્યા હતા, જેમાં મહેસાણાના ઉનાવાની મીરા દાતાર સર્વોદય વિદ્યાલયમાંથી પેપર ફુટ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. સમગ્ર ઘટનાને લઇને અન્ય પરીક્ષાર્થીઓને જાણ થતાં જ અન્ય પરીક્ષાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો અને પ્રશ્નપત્ર કોણે સોલ્વ કર્યું તે અંગે પણ સવાલો કર્યા હતા. હાલ પેપર લીકને લઇને અનેક સવાલો ઉઠાવ્યા હતા.