રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે ઉનાળાની સિઝનમાં રાજ્યના નાગરિકોને પીવાનું પાણી, ખેડૂતોને સિંચાઇ સુવિધા તથા અબોલ પશુઓને પણ પીવાનું પાણી મળી રહે એ માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. રાજ્યમાં હાલ 3500 MLD પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
Advertisement
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષપદે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને વિગતો આપતાં પ્રવકતા મંત્રી એ ઉમેર્યુ કે રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ છે ત્યારે નાગરિકોને પીવાના પાણીની કોઇ તકલીફ ન પડે એ માટે મુખ્યમંત્રીએ પૂરતું આયોજન કરવા સંબંધિતોને સૂચના આપી છે.
છેલ્લા ચાર દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં 2100 MLD પાણીની જરૂરિયાત ઊભી થતાં વિવિધ યોજનાઓ દ્વારા પાણી પૂરું પડાયું છે. રાજ્યમાં ઉપલબ્ધ પાણીના જથ્થાનું પણ યોગ્ય વિતરણ કરાશે. આદિજાતિ વિસ્તારોમાં પણ હેડ પંપ દ્વારા જે પાણી ઉપલબ્ધ છે તે હેડ પંપની મરામત તથા જરૂર પડે તો નવા હેડ પંપ પણ બનાવાશે. તેમણે નાગરિકોને અપીલ કરતા કહ્યું કે પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરીશું અને પાણીની બચત કરીએ તાતી જરૂરિયાત છે. પાણી વેડફાય નહિ એની પણ આપણે સૌએ તકેદારી રાખવી જોઈએ.
મંત્ર વાઘાણી ઉમેર્યું કે ઉનાળાની સિઝનમાં અબોલ મુંગા પશુઓને પણ પીવાના પાણી અને ઘાસચારાની કોઇ તકલીફ ના પડે એ માટે સંપૂર્ણ તકેદારી રાખવા વન વિભાગને સૂચના આપી છે અને એ મુજબ આયોજન પણ કરાશે. પશુઓ માટે ૬.૯૫ કરોડ ટન ઘાસચારાનો જથ્થો અનામત રખાયો છે. જ્યારે અછતની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આ અનામત જથ્થો મહેસૂલ વિભાગ દ્વારા ડેપો ખોલીને રાહત દરે વિતરણ કરાશે.
Advertisement