વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો પર કમળ ખીલે તે માટે અથાગ મહેનત કરી રહ્યા છે જેની જવાબદારી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના શીરે છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વચ્ચે 150 થી વધુ બેઠક જીતવા માટે ભાજપે એડી ચોંટીનું જોર લગાવ્યું છે. અરવલ્લી જીલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો પર કોંગ્રેસનો દબદબો છે તો બીજીબાજુ જીલ્લામાં સરકારી કચેરીઓમાં સરકારી બાબુઓના રાજથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે. ભાજપની સરકારમાં જીલ્લા ARTO કચેરીમાં કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ ફાટીને ધુમાડે જતાં લોકોમાં છૂપો રોષ પ્રવર્તી રહ્યો છે. સ્થાનિક લોકો તો ઠીક ભાજપના કાર્યકરોમાં પણ બૂમો ઉઠવા પામી છે કે, સરકારી બાબુએ તો હદ કરી છે. મોડાસાની ARTO કચેરીમાં બાબુગીરી અને ભ્રષ્ટાચારથી આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં ત્રણેય બેઠક પર ભાજપને નુકસાન પહોંચાડી શકે છે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.
અરવલ્લી જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ, હોદ્દેદારો અને કાર્યકરો જીલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો પર ભાજપનો ભવ્ય વિજય પ્રાપ્ત કરે તે માટે દિવસ-રાત તનતોડ મહેનત કરી રહ્યા છે, ત્યારે અરવલ્લી જીલ્લા એઆરટીઓ કચેરીમાં વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ ભ્રષ્ટાચારમાં રચ્યા પચ્યા રહેતા હોવાની સાથે અરજદારો સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરી કોઈ પણ કામકાજ માટે એજન્ટ પાસે ધકેલી દેતા હોવાથી લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. અરજદારોમાં ભાજપના શાસનમાં એઆરટીઓ કચેરીમાં ભ્રષ્ટાચાર ફુલોફાલ્યો હોવાનો અહેસાસ થતા લોકોં તેનો રોષ આગામી વિધાનસભાની બેઠક ચૂંટણીમાં ઠાલવે તો નવાઈ નહીં.
મોડાસા અને બાયડ વિધાનસભા બેઠક ભાજપે નજીવા માર્જીનથી ગૂમાવી હતી ત્યારે એઆરટીઓ કચેરીની કામગીરીથી તોબા પોકારી ઉઠેલા અરજદારોની નારાજગી આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુશ્કેલી સર્જી શકે છે. જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર આરટીઓ કચેરીમાં કામકાજ અર્થે મુલાકાત લેનાર અરજદારોને દલાલો પાસે ધકેલી દેવામાં આવતા લૂંટાઈ રહ્યા છે.