ઉત્તરાખંડ ચારધામ યાત્રા : ગંગૌત્રી, યમુનોત્રી, કેદારનાથ તથા બદ્રીનાથના કપાટ ખૂલવાની તારીખ આવી ગઈછે. જેમાં ગંગૌત્રી અને યમુનોત્રીના કપાટ 3 મે, કેદારનાથના કપાટ 6 અને બદ્રીનાથના 8 મેના રોજ ખોલવામાં આવશે.
આવનારા મે મહિનામાં ઉત્તરાખંડના ચારધામની યાત્રા ભક્તો માટે શરૂ થનાર છે. ઉત્તરાખંડના બંધ મંદિર અક્ષય તૃતીયાથી શીતકાળ માટે ખોલવાનું શરૂ થઈ જાય છે. ઉત્તરાખંડ ચારધામની યાત્રા યમુનોત્રીથી શરૂ થાય છે, ત્યારબાદ ગંગોત્રી, પછી કેદારનાથ અને અંતે બદ્રીનાથ ધામના દર્શન બાદ આ યાત્રા પૂર્ણ થાય છે.
આ ધામોની પૌરાણિકતા જોઈએ તો, ગંગા નદીનું ઉદગમ સ્થાન ગંગોત્રી છે અને યમુના નદીનું ઉદગમ સ્થાન યમુનોત્રી છે. આ બંને તીર્થ ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત છે. એવી જ રીતે ભોળાનાથનું 11મું જ્યોતિર્લિંગ કેદારનાથ છે. અને આ મંદિર રૂદ્રપ્રયાગ જિલ્લામાં સ્થિત છે. દેશ અને ઉત્તરાખંડના ચાર ધામમાંથી એક ભગવાન વિષ્ણુજીનું બદ્રીનાથ ધામ છે. આ મંદિર ચામોલી જિલ્લામાં સ્થિત છે. યમુનોત્રી ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત છે. આ મંદિર દરિયાના તટથી અંદાજિત 3235 મી. ઊંચાઈએ આવેલું છે. અહીં યમુના દેવીનું મંદિર છે. અને યમુના નદીનું ઉદગમ સ્થાન પણ છે. આ યમુનોત્રી મંદિર ટિહરી ગઢવાલના રાજા પ્રતાપશાહે બનાવડાવ્યું હતું. ત્યારબાદ મંદિરનું સમારકામ જયપુરની રાણી ગુલેરિયાએ કરાવ્યું હતું.
ચારધામમાંથી એક ગંગોત્રીથી ગંગા નદીનું ઉદગમ થાય છે. અહીં દેવી ગંગાનું મંદિર છે. દરિયા કિનારાથી આ મંદિર અંદાજિત 3042 મીટરની ઊંચાઈએ આવેલું છે. આ સ્થળ જિલ્લા ઉત્તરકાશીથી આશરે 100 કિમી દૂર છે. દર વર્ષે ગંગોત્રી મંદિર મે મહિનાથી લઈને ઓક્ટોબર સુધી ખોલવામાં આવે છે. બાકીના સમયમાં અહીંનું વાતાવરણ ખૂબ જ પ્રતિકૂળ હોવાને કારણે મંદિરના કપાટ અંદાજિત 6 મહિના સુધી બંધ કરી દેવામાં આવે છે. આ ક્ષેત્રમાં જ રાજા ભગીરથ દ્વારા શિવજીને પ્રસન્ન કરવા માટે તપ કરવામાં આવ્યું હતું. રાજા ભગીરથના તપથી પ્રસન્ન થઈ શિવજી અહીં પ્રકટ થયા અને તેમણે ગંગાને પોતાની જટામાં ધારણ કરી તેનો વેગ શાંત કર્યો હતો. ત્યારબાદ આ ક્ષેત્રમાં ગંગાની પહેલી ધારા પણ પડી હતી.
કેદારનાથ ધામ ઉત્તરાખંડના ચારધામમાં ત્રીજા ક્રમે આવે છે. આ મંદિર 12 જ્યોતિર્લિંગ પૈકીનું 11મું જ્યોતિર્લિંગ છે અને સૌથી ઊંચી જગ્યાએ આ જ્યોતિર્લિંગ સ્થિત છે. મહાભારતકાળમાં અહીં શિવજીએ પાંડવોને બળદ સ્વરૂપમાં દર્શન આપ્યાં હતાં. આ મંદિર આદિગુરૂ શંકરાચાર્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું. મંદિર અંદાજિત 3,581 વર્ગ મીટરની ઊંચાઈએ સ્થિત છે અને ગૌરીકુંડથી લગભગ 16 કિમીની દૂરી પર સ્થિત છે. માન્યતા એવી છે કે આદિગુરુ શંકરાચાર્યએ આ મંદિર 8મી-9મી સદીમાં બનાવડાવ્યું હતું.
માન્યતા એવી પણ છે કે ભગવાન વિષ્ણુએ આ ક્ષેત્રમાં તપસ્યા કરી હતી. તે સમયે મહાલક્ષ્મીએ બદરી એટલે બોરનું ઝાડ બનીને ભગવાન વિષ્ણુને છાંયડો આપ્યો હતો અને પ્રતિકૂળ વાતાવરણમાં તેમની રક્ષા કરી હતી. લક્ષ્મીજીના આ સમર્પણથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા હતા અને તેમણે આ જગ્યાને બદ્રીનાથ નામથી પ્રસિદ્ધ થવાનું વરદાન આપ્યું હતું.
બદ્રીનાથ ધામમાં વિષ્ણુજીની એક મીટર ઊંચી કાળા પત્થરની મૂર્તિ સ્થાપિત છે. આદિગુરુ શંકરાચાર્ય દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી વ્યવસ્થા પ્રમાણે બદ્રીનાથ મંદિરના મુખ્ય પુજારી દક્ષિણ ભારતના કેરળ રાજ્યથી હોય છે. આ મંદિર અંદાજિત 3100 મીટર ઊંચાઈએ સ્થિત છે. મંદિરના કપાટ ખૂલવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોઈ તમામ ભક્તો ફરી એક વખત ચારધામની યાત્રાની તૈયારીએ લાગી ગયા હશે.