લેખક – મહેન્દ્ર બગડા
આપણા બે પાડોશી દેશોમાં હાલ ધમાસાણ ચાલી રહ્યું છે. ઉત્તરમાં પાકિસ્તાનમાં રાજકીય ઉઠાપટક છે, તો નીચે દક્ષીણમાં શ્રીલંકામાં ભયંકર મોંધવારી અને લોકો ખાવાપીવાની વસ્તુઓથી લઈ પેટ્રોલ, ડિઝલ અને રાંધણગેસના બાટલા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. વોટ્સએપ વિરો અને ખાસ કરીને સરકાર વિરોધી મીત્રોએ તો આપણી દશા પણ શ્રીલંકા જેવી થશે તેવુ ભવિષ્ય ભાખી નાંખયુ છે. પરંતુ માથા પર નવી નક્કોર ભગવા ટોપી ધારણ કરનાર ભાજપી કાર્યકર અને નેતાઓ કહે છે કે મોદી સાહેબ છે એટલે જલસા કરો મારા ભૈ. આપણે પણ મોદી સાહેબ છે એટલે કંઈ નહી થાય તેમ માની કેસર કેરીના માર્કેટમાં આવવાની રાહ જોઈ રહ્યાં છીએ.
પાકિસ્તાનમાં ઈમરાન ખાને સંસદ વિખેરી લગભગ સાત મહીના પહેલા ચૂંટણી જાહેર કરી દીધી. જો સુપ્રિમ કોર્ટનુ નવુ ફરમાન ન આવે તો. કેરટેકર તરીકે ઈમરાન મહાશય રહેશે. તો શ્રીલંકામાં રાજાપક્ષે દેશમાંથી કટોકટી હટાવી લીધી છે. પરંતુ ખાવા પીવાની વસ્તુઓ અસહ્ય મોંધી થઈ ગઈ છે. જે સીંગદાણા અમારા ગામ સાવરકુંડલામાં પચાસ સાઠ રુપિયે કિલો મળે છે એ શ્રીલંકામાં રુપિયા 1300ના કિલો મળે છે. ચોખા લગભગ પાંચસો રુપિયે કિલો છે. અડદ દાળ, મગદાળ વગેરે પણ આઠસો નવસો રુપિયે કિલો મળે છે. આ અધધ ભાવ વધારો કેમ થયો તે બાબતે કોઈ નિષ્ણાંત અર્થશાસ્ત્રીજ સમજાવી શકે પરંતુ આટલી બધી મોંધવારીમાં લોકોનુ રહેવુ મુશ્કેલ બની જતુ હોય છે. સરકારે કંઈક નક્કર કરવુ જ પડશે નહી તો લોકો રસ્તા પર તો આવી ગયા છે, હવે ગૃહ યુધ્ધ તરફ ધકેલાઈ જશે.
આપણે ત્યાં ઈશ્વરની મહેર છે. પાકિસ્તાનમાં પણ ભયાનક મોંધવારી છે. પેટ્રોલ કંઈક એકસો સાઠ રુપિયે લીટર છે. ટમેટા , બટેટા જેવી રોજીંદા શાકભાજી પણ બસ્સો રુપિયાને ક્રોસ કરી ગયા છે. ત્યાં ખાવાના સાંસા છે અને અહિયા મોદી સાહેબ લગભગ બે વર્ષથી સીત્તેર એંસો કરોડ લોકોને સાવ રામે-રામમાં એટલે કે વિના મુલ્યે રાશન આપે છે. ગજબનો તફાવત છે. કદાચ મેનેજમેન્ટ અને સત્તા ચલાવવાની અણઆવડતથી શ્રીલંકા અને પાકિસ્તાનમાં આવુ બન્યુ હશે. આપણે ત્યાં ધંધા રોજગાર ધીરે ધીરે સ્થીર થઈ રહ્યાં છે. કોરોના બાદ જે મંદી આવી હતી તે હટી રહી છે. સુરત જેવુ શહેર ફરી તેજી તરફ કુચ કરી રહ્યું છે. એટલે આપણા સત્તાધીશોને ધન્યવાદ તો આપવા જ રહ્યાં. હા, મોંધવારી આપણે ત્યાં પણ અસહ્ય છે પરંતુ કમસે કમ વસ્તુઓ મળી રહે છે. કોઈ એવી ભયાનક તંગી નથી કે ફલાણી વસ્તુ માર્કેટમાંથી ગુમ થઈ ગઈ. મોંધી તો મોંધી પરંતુ મળી રહે છે એ પણ ઈશ્વરનો આભાર.
અંતે, હાલ કાકાસાહેબ કાલેલકરની ટુંકી વાર્તામાં આવતો તેવો કાળઝાળ તડકો પડી રહ્યો છે. મોટા ભાગના સૌરાષ્ટ્રના વિસ્તારમાં તાઉતે વાવાઝોડાના કારણે વૃક્ષો ધરાશાઈ થઈ ગયા છે. મેટ્રો સિટીમાં તો તડકાની વાત જ ના પુછો. એક તો ઓછા વૃક્ષો અને વાહનોનુ પ્રદુષણ. હજુ લગભગ એપ્રીમ, મે અને જુનના ચૌ દિવસ એટલે કે અઢી મહીના આ કાળઝાળ ગરમીમાં કાઢવાના છે. સુર્ય નારાયણને પ્રણામ સાથે, આવજો. આવતા અઠવાડીયે ફરી મળીશું.