ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન થયેલા ઘર્ષણને લઇને સૌથી મોટો ખુલાસો થયો છે. ખંભાતમાં થયેલા હુમલામાં બહારના લોકોની સંડોવણી સામે આવી છે. ભરૂચ જિલ્લામાંથી પાંચ કાર ખંભાત આવી હોવાનું ખૂલ્યુ છે. એક મૌલવીની પણ શંકાસ્પદ ભૂમિકા આ ઘટનામાં બહાર આવી છે. બહારથી લોકો પથ્થરમારામાં સામેલ થયા હોવાનું જાણવા મળ્યુ છે. પોલીસે 100 લોકોના ટોળા સામે પથ્થરમારાની ફરિયાદ નોંધી છે. પૂર્વ આયોજિત કાવતરૂ હોવાની પોલીસને શંકા છે. કેસમાં અત્યાર સુધી કેસમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ખંભાતમાં હુમલા પાછળ મુસ્તકીમ મૌલવી, મતીન અને મોહસીન કાવતરાના મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યુ છે. હુમલા માટે આ લોકોએ પ્લાન સમજાવ્યો હતો.
રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રામાં ખંભાતમાં વિવાદ થતા એક વ્યક્તિનું મોત થયુ હતુ. મૃતકના પરિવારજનોએ સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી છે. ઘરના મોભીનું નિધન થતા પરિવાર પર આભ તૂટી પડ્યુ હતુ.
રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ ખંભાતમાં તંગદીલી વ્યાપી ગઇ હતી. પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને આ ઘટનામાં સામેલ લોકો સામે ફરિયાદ નોંધી અટકાયત કરી હતી.