ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવેલી આઝાદીનો ગૌરવ યાત્રા અરવલ્લી જિલ્લામાં પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના ઇડરથી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાંથી પ્રવેશ કર્યો હતો, જ્યાં જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. ગાંધી આશ્રમ થી દિલ્હી રાજઘાટ સુધીની પદયાત્રા શરૂ કરવામાં આવી છે, આ પદયાત્રા શામળાજી થઈ રતનપુર બોર્ડર થી પ્રવેશ કરી રાજસ્થાનમાં પહોંચશે અને ત્યારબાદ દિલ્હી પહોંચવાની છે.
સેવાદળ ના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈના નેતૃત્વમાં સેવાદળ ના કાર્યકર્તાઓ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે નીકળી છે, ત્યારે આઝાદી ગૌરવ યાત્રા અરવલ્લી જિલ્લામાં પ્રવેશ કરતા જિલ્લા પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘી, ભિલોડાના ધારાસભ્ય સ્વ. ડૉ.અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષિયારાએ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત કાર્યક્રમમાં જિલ્લાના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
આગામી દિવસોમાં ગુજરાત થી રાજસ્થાનમાં યાત્રા પ્રવેશતા ગુજરાત પ્રદેશ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, સુખરામ રાઠવા, વિપક્ષના નેતા તથા પ્રદેશ ના આગેવાનો શામળાજી નજીકથી રાજસ્થાન તરફ પદયાત્રામાં જોડાશે તેવું જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસી આગેવાન રાજેન્દ્ર પારધી એ જણાવ્યું હતું. રાજસ્થાનમાં યાત્રા પ્રવેશ કરશે ત્યારે મુખ્યમંત્રી અશોક ગેહલોતજી દ્વારા યાત્રા નું સ્વાગત કરાશે. આ યાત્રા અખિલ ભારતીય કોંગ્રેસ સેવાદળના ચેરમેન લાલજીભાઈ દેસાઈ ના નેતૃત્વમાં યોજાઈ રહી છે.