સ્વચ્છતા અભિયાન માટે સરકાર કરોડો રૂપિયાનો ખર્ચે કરે છે પણ સ્થાનિક તંત્રને જરાય રસ ન હોય તેવી વરવી વાસ્તવિકા જોવા મળતી હોય છે. સાબરકાંઠા જિલ્લામાં પણ સ્વચ્છતાના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાઓ પર સ્વચ્છતાને લઇને કોઇ જ જનજાગૃતિ જોવા મળતી નથી. 2 ઓક્ટોબર આવે ત્યારે નેતાઓ અને અધિકારીઓ સ્વચ્છતાના નામે રોટલા શેકવા આવી જતાં હોય છે પણ સામાન્ય દિવસોમાં પ્રજાઓ ગંદકીમાં જ દિવસો વિતાવવાનો વારો આવતો હોય છે. આવું જ એક શ્રેષ્ઠ ઉદાહરણ પેઢમાલામાં જોવા મળ્યું કે જ્યાં સ્વચ્છતાના નામે તાયફાના દ્રશ્યો સામે આવ્યા છે.
હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામમાં ચોમેર અસહ્ય ગંદકીથી ખદબદી રહ્યું છે. ગામના કુવા પાસે ગટરલાઈન લીકેજથી પારાવાર ગંદકી ફેલાઇ છે. આથી ગામમાં ડેંગ્યુ, મલેરિયા જેવા પાણીજન્ય જીવલેણ રોગચારો ફાટી નીકળવાની પ્રબળ સંભાવના છે. ગ્રામજનો દ્વારા પંચાયત તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ નક્કર પગલાં ભરવામાં આવતા નથી. તંત્રના બહેરા કાને ગામડાના લોકોનો અવાજ પહોંચતો નથી કે પહોંચાડવામાં આવતો નથી તે એક સવાલ છે.