આઝાદીના સ્વાતંત્રની 75 મી વર્ષગાંઠ નિમિત્તે કોંગ્રેસ આયોજિત આઝાદી ગૌરવ યાત્રા ગુજરાત માંથી રાજસ્થાન માં પ્રવેશી હતી. ગુજરાત અને રાજસ્થાન ની આંતરરાજ્ય સરહદ પર આવેલ રતનપુર ખાતેથી રાજસ્થાનમાં પ્રવેશતા પદયાત્રાનું રાજસ્થાનમાં ભવ્ય સ્વાવત કરવામાં આવ્યું. આ પ્રસંગે કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર અને વિરોધપક્ષના નેતા સુખરામભાઈ રાઠવા, કોંગ્રેસના ધારાસભ્યો સહિત અરવલ્લી અને સાબરકાંઠા ના કોંગ્રેસી કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભિલોડા તાલુકાના શામળાજીના અણસોલ ખાતે એક સભાનું આયોજન કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત મુખ્ય મહેમાન તરીકે પહોંચવાના હતા, સ્ટેજ પર થી પણ એનાઉન્સ થતું હતું કે, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આવવાના છે જેથી કાર્યકરોમાં એક ઉત્સાહનો માહોલ હતો. તેમના સ્વાગતને લઇને દીકરીઓને કુમકુમ તિલક કરવા માટે પણ ઊભી રાખવામાં આવી હતી, જોકે રાજસ્થાનના રતનપુર ખાતે પહોંચતા ત્યાંથી મેસેજ આવ્યો કે, અશોક ગેહલોત ગુજરાતમાં પ્રવેશ કરવાના નથી તેઓ રતનપુર ખાતેથી જ આઝાદી ગૌરવ યાત્રાનું સ્વાગત કરવાના છે. કોંગી નેતાઓને જાણ થતાં તાત્કાલિક યાત્રાને રાજસ્થાન તરફ પ્રસ્થાન કરી દેવામાં આવી હતી. જોકે સવાલ એ પણ ઉઠ્યા હતા કે, અશોક ગેહલોત ગુજરાતમાં પ્રવેશ કેમ ન કર્યો.
ગુજરાતમાંથી કોંગ્રેસ પાર્ટીની આઝાદી ગૌરવ યાત્રાને વિદાય આપવા માટે ગુજરાત અને રાષ્ટ્રીય નેતાઓ શામળાજી નજીક અણસોલની સભામાં પહોંચ્યા હતા, જ્યાં અશોક ગેહલોત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેવાના હતા, જો કે અચાનક કાર્યક્રમમાં થયેલા ફેરફારને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ ગુજરાતમાં હાર્દીક પટેલ નારાજ ચાલી રહ્યા છે સૌરાષ્ટ્રના કદાવર નેતા ઇન્દ્રનીલ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી આપમાં જોડાઈ ચૂક્યા છે. ત્યારે હવે કોંગ્રેસમાં ઉચ્ચ નેતાઓથી નારાજગીને કેટલીક અટકળો પણ વહેતી થઇ હતી.
ગુજરાતમાં યોજાયેલા કાર્યક્રમમાં ન પહોંચીને અશોક ગેહલોત રતનપુર ખાતે આઝાદી ગૌરવ યાત્રાનું સ્વાગત કરીને રતનપુર ખાતે જાહેર સભામાં પહોંચ્યા હતા.
અમદાવાદ સાબરમતી આશ્રમથી દિલ્હીના રાજઘાટ સુધીની યાત્રા ગુજરાતના પાંચ જિલ્લામાં 10 દિવસનો પ્રવાસ ખેડી આજે રાજસ્થાનમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક વહેલોતે સ્વાગત કર્યું હતું,,આ ગૌરવ યાત્રાનું 1200 કિ.મી. નું અંતર કાપી 58 દિવસ પૂર્ણ કરી પહેલી જૂને દિલ્હી રાજઘાટ ખાતે સમાપન થશે.આઝાદી ગૌરવ યાત્રામાં આઝાદીની ચળવળમાં કોંગ્રેસની ભૂમિકાને ટેબ્લો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી. સાથોસાથ આઝાદી બાદ ૬૦ વર્ષના કોંગ્રેસના યોગદાનની ઝલક પણ દર્શાવવામાં આવી છે..