હાલ સમગ્ર ગુજરાતમાં શિક્ષણના મુદ્દે રાજકારણ ગરમાયું છે ત્યારે અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીએ પણ શાળાઓની સ્થિતિને લઇને વોટ્સ એપ નંબર જાહેર કર્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ એક નિવેદનમાં કહ્યું હતું કે, જેને ગુજરાતનું શિક્ષણ ન ગમે તેઓ ચાલ્યા જાય, ત્યારબાદ રાજકારણ ગરમાયું હતું અને આપ પાર્ટીના આગેવાનોએ દિલ્હીથી નિવેદન આપ્યા અને શિક્ષણને લઇને રાજનીતિ તેજ બની હતી.
દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયા પણ ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણીના મતવિસ્તારમાં આવેલી શાળાઓની મુલાકાત કરીને શાળાઓની સ્થિતિનું નિરીક્ષણ કરતા કેટલીય શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનો આક્ષેપ કર્યો હતો.
હવે અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટીએ પણ આ જ દિશામાં કામગીરી શરૂ કરી છે. અરવલ્લી જિલ્લા આપ કાર્યાલય ખાતે જિલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનોએ જિલ્લાની જર્જરિત અથવા તો પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય તેવી શાળાઓના ફોટો અથવા તો વીડિયો માટે એક વોટ્સ એપ 9512040404 નંબર જાહેર કર્યો છે. જેના પર શાળાની સ્થિતિ અંગે વીડિયો અથવા તો ફોટો મોકલવા માટે અપીલ કરવામાં આવી રહી છે. પીએમ મોદીની રેલી પહેલા આમ આદમી પાર્ટી દ્વારા આવી શાળાઓની સ્થિતિનું લાઈવ પ્રસારણ કમાન્ડ સેન્ટર પરથી કરવા જઇ રહી છે.
આ અંગે અરવલ્લી જિલ્લા પ્રભારી જયદીપ ચૌહાણે શું કહ્યું તે પણ સાંભળો