ગુજરાતના વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે પાલનપુરથી ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આસામમાં એક કેસના સંબંધમાં જીગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી છે.
આસામ પોલીસે પાલનપુર સર્કિટ હાઉસમાંથી જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી અને તેમને પહેલા અમદાવાદ લઈ ગઈ હતી અને ત્યારબાદ તેને ત્યાંથી આસામ લઈ જવામાં આવ્યા હતા. કહેવાય છે કે, બુધવારે રાત્રે પાલનપુર સર્કિટ હાઉસમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ તેને ગુવાહાટી લઈ જવામાં આવી રહ્યો છે.
જિગ્નેશ મેવાણીની ધરપકડના સમાચાર મળતાની સાથે જ પ્રદેશ કોંગ્રેસ સમિતિએ તેનો સખત વિરોધ કર્યો અને મોડી રાત્રે કોંગ્રેસના નેતાઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા હતા, જ્યાં સુત્રોચ્ચાર કરી ભારે વિરોધ દર્શાવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે લડાયક યુવાનો ભાજપ સરકાર સામે પ્રજાનો અવાજ મજબૂતાઈ થી ઉઠાવે છે પરંતુ અમે ડરીશું નહિ લડીશું. અમદાવાદ એરપોર્ટ પર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઈમરાન ખેડાવાળા, ડો.સી જે ચાવડા, કોંગ્રેસ નેતા બિમલ શાહ, શહેર પ્રમુખ નીરવ બક્ષી એ અને આગેવાનો અમદાવાદ એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.