વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આસામ પોલિસે કરેલી ધરપકડનો કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહી છે. જિગ્નેશ મેવાણીની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે આ વચ્ચે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ આગેવાનોએ જિલ્લા કલક્ટર કચેરી ખાતે વિરોધ અને સુત્રોચ્ચાર કર્યા હતા. જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપીને જિગ્નેશ મેવાણીને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી હતી.
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપતા જણાવ્યું કે, જિગ્નેશ મેવાણીને કોઇપણ પ્રકારની જાણ કર્યા વિના અને કોઇ કારણ વગર આસામ પોલિસે ધરપકડ કરી છે. જિગ્નેશ મેવાણીની ધરપકડને લઇને તાત્કાલિક તેમને છોડવામાં આવે તેવી માંગ સાથે રાજ્યભરમાં આંદોલન કરવાની કોંગ્રેસના આગેવાનોએ ચિમકી પણ ઉચ્ચારી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, 20 એપ્રિલના રોજ મોડી રાત્રે પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આસામ પોલિસે ધરપકડ કરી હતી ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી આસામ લઇ જવામાં આવ્યા હતા. સમગ્ર મામલે કોંગ્રેસ પાર્ટી પણ આ મુદ્દાને લઇને સક્રિય બની છે અને આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
સાંભળો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે શું કહ્યું..