પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સન સાથે દ્વિપક્ષીય બેઠક કરી. બંને પ્રધાનમંત્રીઓ 2030 રોડમેપના અમલીકરણની પ્રક્રિયાની સમીક્ષા કરી અને દ્વિપક્ષીય સંબંધોમાં સહકારને વધુ વધારવાના દૃષ્ટિકોણ પર નિર્ણય લીધો. બંને નેતાઓ પરસ્પર હિતના વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર પણ વિચારોના આદાન-પ્રદાન કર્યા.
બ્રિટનના પ્રધાનમંત્રી જોન્સન ગઈકાલે બે દિવસની મુલાકાતે ભારત આવ્યા હતા. આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓએ મહાત્મા ગાંધીની સમાધિ પર પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આજે તેઓ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે, જોનસને તેમના ભારત પ્રવાસની શરૂઆત ગઈકાલે અમદાવાદની મુલાકાતથી કરી હતી. જોનસને સૌ પ્રથમ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી અને ગાંધીજીને શ્રદ્ધા-સૂમન અર્પણ કર્યા હતા. બાદમાં તેઓએ પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે જેસીબી કંપનીના કારખાનાની મુલાકાત લીધી હતી. જોનસને ગાંધીનગર ખાતે અક્ષરધામ અને ગિફ્ટ સિટી ખાતે આવેલી ગુજરાત બાયોટેકનોલોજિકલ યુનિવર્સિટીની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે બ્રિટન અને ગુજરાત વચ્ચે આર્થિક–સામાજિક સંબંધ વધુ મજબૂત બનશે તેમ જણાવ્યુ હતું.