મેરા ગુજરાત, ગીર-સોમનાથ
રાજયકક્ષાના પરિવહન મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ તાલાળા તાલુકાના આંકોલવાડી ગામે અદ્યતન સુવિધાસભર નિર્માણ પામનાર બસ સ્ટેશનનું શાસ્ત્રોક્ત વિધિનુસાર ખાત મુહૂર્ત કરતાં જણાવ્યું કે, અહીંયા રૂ. 2.59 કરોડના ખર્ચે નિર્માણ થનાર આ બસ સ્ટેશનથી આજુબાજુના ગામના લોકો અને અભ્યાસ અર્થે મુસાફરી કરતા વિદ્યાર્થીઓને ખૂબ મોટી પરિવહન સેવા મળી રહેશે.
રાજ્ય સરકાર ગામડાઓનો અને છેવાડાના માનવીને લક્ષમાં રાખીને કામ કરતી હોવાનું જણાવીને મંત્રીએ કહ્યું કે, ગામડાઓમાં શહેરોની સમકક્ષ સુવિધા મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર કામ કરી રહી છે મંત્રી રૈયાણીએ ગામડાં અને ખેતિ સાથે જોડાયેલ હોવાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, રાજ્ય સરકાર વિકાસ કાર્યોના ખાત મુહૂર્ત કરવાની સાથે લોકાર્પણ કરવા તે માટે પ્રતિબદ્ધ રહી છે. આ સરકાર વચનો આપવાની સાથે પાળવાનું પણ જાણે છે. તેમ મંત્રીએ ઉમેરતા આવનારી પેઢી અને શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવાનું પણ આહવાન કર્યું હતું
રાજ્યના લોકોની સેવામાં એસ.ટી. વિભાગ દ્વારા દરરોજ 7500 જેટલી બસો દોડાવવામાં આવે છે. જે પ્રતિદિન 35 લાખ કિલોમીટર ચાલે છે. તેમ જણાવી મંત્રીએ કહ્યું કે, રામ મંદિરના નિર્માણનું કાર્ય પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વને કારણે શક્ય બન્યું છે. તેમ જણાવ્યું હતું.આ પ્રસંગે ગુજકોમાસોલના ઉપપ્રમુખ ગોવિંદભાઈ પરમારે આ વિસ્તારનું વર્ષો સુધી પ્રતિનિધિત્વ કરવાની સાથે લોકોના પાયાના રોડ-રસ્તા વીજળી સહિતના વિકાસ કામો કર્યા હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો અને યુવા નેતૃત્વને સ્વીકારવાની પણ હાકલ કરી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગ પરમારે પૂર્વ મુખ્યમંત્રીઓ સ્વ. કેશુભાઈ પટેલ, નરેન્દ્ર ભાઈ મોદી અને આનંદીબેન પટેલ વિકાસ કાર્યોના ઉલ્લેખ કરતા આગામી વર્ષોમાં ગીર સોમનાથ જિલ્લાના તમામ ગામડાઓને જોડતા રસ્તાઓના નિર્માણનું પૂર્ણ કરવામાં આવશે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.
એસ.ટી. વિભાગ જૂનાગઢના વિભાગીય નિયામક જી.ઓ. શાહે શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ સાથે તેમણે આ કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપવા બદલ આંકોલવાડી ગામના અગ્રણી જીકાભાઈ સુવાગિયાનો આભાર માન્યો હતો. તેમજ એસટી વિભાગના વિભાગીય અધિકારી આર.ડી. પિલવાઇકરે આભારવિધિ કરી હતી
આ પ્રસંગે જિલ્લા પંચયતના પ્રમુખ રામીબેન વાજા, પૂર્વ સંસદિય સચિવ જેઠાભાઈ સોલંકી, સંગઠનના પ્રદેશ મંત્રી ઝવેરભાઇ ઠકરાર, જિલ્લા વિકાસ અધિકારી રવીન્દ્ર ખતાલે, નિવાસી અધિક કલેકટર બી. વી. લીંબાસીયા, અગ્રણી મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતાં.