સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પક્ષથી છેલ્લા કેટલાક સમયથી નારાજ ચાલી રહ્યા છે. અશ્વિન કોટવાલ કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે અને ભાજપમાં જોડાઇ શકે છે. બેથી ચાર દિવસમાં અશ્વિન કોટવાલ રાજીનામું આપી શકે છે. કોંગ્રેસને વિધાનસભા ચૂંટણી પહેલા મોટો ફટકો પડી શકે છે.
કોંગ્રેસમાંથી કેટલાક લોકો નારાજ
છેલ્લા ઘણા સમયથી તેઓ ગૃહમાં પણ ગેરહાજર હતા. વિધાનસભામાં વિપક્ષના નેતા ના બનાવવામાં આવ્યા હોવાથી નારાજ હોવાની ચર્ચા પણ હતી. અશ્વિન કોટવાલ પ્રદેશ હાઇકમાન્ડ સામે કેટલીક વખત પોતાની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. અશ્વિન કોટવાલે જનસંપર્ક શરૂ કર્યો છે. આગામી અઠવાડિયામાં અશ્વિન કોટવાલ પોતાનો નિર્ણય જાહેર કરશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા એક પછી એક નેતા કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. સૌથી પહેલા સૌરાષ્ટ્રના કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તે પછી ગઇકાલે જ કૈલાશ ગઢવી પણ કોંગ્રેસનો સાથ છોડીને આપમાં જોડાયા હતા.
કોણ છે અશ્વિન કોટવાલ?
અશ્વિન કોટવાલ સાબરકાંઠા જિલ્લાની ખેડબ્રહ્મા વિધાનસભાના વર્ષ 2007, 2012 અને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવીને ધારાસભ્ય બન્યા છે. આ સિવાય તે વિજયનગર તાલુકા પંચાયતના અધ્યક્ષ પણ છે.