અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જમીનને લગતા કેસ માટે હવે મોડાસા પ્રાંત કચેરી સુધી લાંબા નહીં થવું પડે. આ માટે મોડાસા પ્રાંત અધિકારીએ નવતર અભિગમ અપનાવીને જે-તે મામલતદાર કચેરી ખાતે કેસ ચલાવવાનો નિર્ણય કર્યો છે. જમીનને લગતા કેસ માટે પહેલા ભિલોડા, મોડાસા અને મેઘરજના અરજદારોએ મોડાસા પ્રાંત કચેરી ખાતે ધક્કા ખાવાનો વારો આવતો હતો, પણ હવે મોડાસાના અરજદારો માટે મોડાસા, ભિલોડાના અરજદારો માટે ભિલોડા તેમજ મેઘરજના અરજદારો માટે મેઘરજ મામલતદાર કચેરી ખાતે જમીનને લગતા કેસ ચલાવવાનો નિર્ણય મોડાસા પ્રાંત અધિકારી દ્વારા કરવામાં આવ્યો છે, જે લોકહિત માટે ખૂબ જ ઉપયોગી નિવળશે.જાણો શું છે મોડાસા પ્રાંત અધિકારીનો પરિપત્ર
મોડાસા પ્રાંત કચેરીથી પ્રાંત અધિકારીએ એક પરિપત્ર જાહેર કરી જણાવ્યું છે કે, મોડાસા તાલુકાના મોડાસા, ભિલોડા અને મેઘરજ તાલુકાના જમીનને લગતા RTS અપીલ કેસ, તકરારી નોંધોના કેસ,મામલતદાર કોર્ટ એકટ રીવીઝનના કેસ અન્વયે સુનાવણી અર્થે પક્ષકારોને પ્રાંત કચેરી મોડાસા ખાતે આવવું પડે છે, જેમાં ખાસ કરીને ભિલોડા અને મેઘરજ તાલુકાના અરજદારો અપીલ કર્તાઓને અગવડતા ન પડે તેમજ સમય અને નાણાંનો વ્યય થતો અટકે તે માટે હવેથી ઉપરોકત તમામ કેસોની રૂબરૂ સુનાવણી સબંધિત તાલુકા મથકે મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવશે.
પહેલા શું થતું હતું, તે પણ જાણો
પહેલા RTS ના કેસ માટે પ્રથમ અપીલ જે-તે પ્રાંત કચેરી ખાતે ચાલતી હતી, જેથી મોડાસા ડિવિઝનના ભિલોડા અને મેઘરજના કેસ માટે અરજદારોએ મોડાસા પ્રાંત કચેરી ખાતે ધક્કા ખાવા પડતા હતા. એટલું જ નહીં જો અચાનક અધિકારીની મીટિંગ આવી જાય તો અરજદારોને તારીખ આપી દેવામાં આવતી હતી અને કેસ ડિલે થતો હતો, પણ હવે આ સમસ્યાના સમાધાન માટે પ્રાંત કચેરીથી પ્રાંત અધિકારીએ આ મહત્વપૂર્ણ નિર્ણય લોકહિત માટે કર્યો છે.જાણો શું છે હવે શું થશે
પ્રાંત અધિકારીના આ નિર્ણયથી હવે અરજદારોને મોડાસા ડિવિઝનના એટલે કે, મોડાસા તાલુકાના પ્રાંત કચેરી ખાતે, મેઘરજ તાલુકાના મેઘરજ મામલતદાર કચેરી ખાતે અને ભિલોડા તાલુકાના ભિલોડા મામલતદાર કચેરી ખાતે જમીનને લગતા કેસ ચાલશે.જે-તે તારીખ મુજબ પ્રાંત અધિકારી જાતે જ ભિલોડા અને મેઘરજ મામલતદાર કચેરી ખાતે જશે અને સુનાવણી હાથ ધરશે. આમ થવાથી અરજદારોને પોતાના તાલુકામાં જ જમીનને લગતા કેસની સુનાવણી થશે, જેથી સમય અને નાણાનો વ્યય થતો અટકશે.
પ્રાંત અધિકારીના આ નિર્ણયથી શું લાભ થશે તે પણ જાણો
મોડાસા પ્રાંત અધિકારીના આ નિર્ણયથી હવે પેન્ડિંગ કેસનું નિરાકરણ પણ ઝડપી થશે અને અરજદારો પણ હાજર રહેવાની શક્યતાઓ પૂરેપુરી રહેલી છે. પહેલા મોડાસા પ્રાંત કચેરી ખાતે કેટલીકવાર અરજદારો પહોંચી શકતા નહોતા જેથી પેન્ડિંગ કેસમાં સતત વધારો થતો અને તારીખો પર તારીખ પડતી હતી, હવે આવું થવાની શક્યતાઓ ઓછી રહેશે.