ગુજરાત ક્વોરી એસોસિએશન દ્વારા 1 મે ના રોજથી હડતાળમાં જોડાઈ ચૂક્યા છે અને કામકાજ બંધ કરી દીધું છે. રાજ્ય ક્વોરી એસોસિએશનના નેજા હાઠળ 31 માર્ચના રોજ સમગ્ર રાજ્યમાં કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો અને કામકાજ બંધ કરવાની ચિમકી ઉચ્ચારી હતી, ત્યારે તેઓની માંગ નહીં સંતોષાતા 2 મે ના રોજથી ક્વોરી સંચાલકોએ હાડતાળ શરૂ કરી દીધી છે.
ગુજરાત ક્વોરી એસોસિએશનના કુલ 17 જેટલી માંગણીઓ પૈકી 7 માંગણીઓ મુખ્ય હતી, આ માંગણીઓને લઇને અરવલ્લી જિલ્લામાં પણ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં ક્વોરી સંચાલકો પહોંચ્યા હતા અને આવેદન પત્ર આપ્યું હતું.
ક્વોરી એસોસિએશનની મુખ્ય માંગણીઓ
- ખાડા માપણી
- ખાનગી માલિકીની જમીનમાં ક્વોરી લીઝ હરાજી વિના આપવી
- ક્વોરી ઝોન જાહેર કરવો
- ઇ.સી. અને માઈનિંગ પ્લાન ગૌણ ખનીજમાં નહીં હોવા બાબત
- ખાણ ખનીજ અને આર.ટી.ઓ. નું જોડાણ અલગ કરવા બાબત
- ખનીજ કિંમત રૂ. 350 છે તે ખોટું છે અને ખરેખર રૂ. 50 જ થાય તે ફેરફાર કરવું
- મશિન સેન્ડ ને સરકારી કામોમાં વાપરવા ફરજીયાત કરવા બાબત
માંગણી નહીં સંતોષાય તો કામ બંધ કરી દેવાની ઉચ્ચારી હતી ચિમકી
અરવલ્લી જિલ્લા ક્વોરી એસોસિએશન દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો હતો કે, સરકાર દ્વારા તેઓની માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો તેઓ 1 મેથી તેઓના રોજગાર અને કામ બંધ કરી દેશે ,જેથી કેટલાય લોકો બેરોજગાર બનશે અને રોડ સહિતની કામગીરીને સીધી અસર વર્તાશે.
અરવલ્લી જિલ્લામાં રોડ રસ્તાઓના કામકાજ પર તેની કેવી અસર થશે
હાલ અરવલ્લી જિલ્લાના તમામ ક્વોરી સંચાલકો હડતાળમાં જોડાયા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં હાલ પૂરતી કોઇ જ અસર નહીં વર્તાય તેવી આધારભૂત સુત્રો પાસેથી માહિતી મળી છે. જિલ્લામાં જે જગ્યાએ કોન્ટ્રાક્ટરો રોડ રસ્તાઓના કામ કરી રહ્યા છે તેમણે હડતાળના પગલે પહેલેથી જ કપચીનો સ્ટોક કરી દીધો છે, પણ જો હડતાળ લંબાશે અને કોન્ટ્રાક્ટર પાસે કપચીનો સ્ટોક પૂરો થઇ જશે તો રોડ રસ્તાના કામકાજ પર તેની સીધી અસર વર્તાવાની પૂરેપૂરી શક્યતાઓ છે.