મેરા ગુજરાત, સ્પેશિયલ રીપોર્ટ
હાલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો સિલસિલો યથાવત છે ત્યારે સાબરકાંઠા પછી અરવલ્લી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ નજર બનાવી હોવાની રાજનીતિક ગલિયોમાં ચર્ચાઓ તેજ બની છે. ત્રણ ટર્મથી કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટાઇ આવેલા અશ્વીન કોટવાલે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લેતા મતદારોમાં અંદરો-અંદર ચર્ચાઓ ચાલી રહી છે કે, પહેલેથી જ ભાજપમાં જોડાવાના હતા તો મત કેમ માંગવા આવતા હતા.
કમલમ ખાતે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અશ્વીન કોટવાલે મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે, તેઓ 2007માં જ ભાજપમાં જોડાવાના હતા, અને તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચાહક છે અને તેમનો ફોલો કરે છે. કેટલાય સમયથી અશ્વીન કોટવાલ ભાજપમાં જોડાવાની અટકળો ચાલતી હતી, મીડિયા તેમનો સંપર્ક કરે તો તેઓ વાતને ઉડાઉ કહેતા અને હાલ તેઓ ક્યાંય જોડાવાના નથી તેમ પણ કહેતા હતા. પણ હવે એ સાહિત થયું કે, રાજનીતિમાં જે હોય છે તે જોવાતું નથી અને જે જોવાય છે તે હોતું નથી.
આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં કેટલાય કોંગી આગેવાનો અને ધારાસભ્યો જોડાઇ રહ્યા છે અને આગામી દિવસોમાં જોડાશે તે પણ વાતને નકારી ન કઢાય. કારણ કે, કોંગ્રેસ પક્ષના વફાદાર ગણી શકાય તેવા અને ગમે તે સમયે વિરોધ પ્રદર્શનમાં આગળ રહેતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અશ્વીન કોટવાલ ભાજપમાં જોડાઈ શકે તો અન્ય કેમ નહીં તેવી પણ મતદારોમાં ચર્ચાએ જોર પકડ્યું છે.
સાબરકાંઠા પછી બીજી ઇનિંગ અરવલ્લી જિલ્લામાં શરૂ થશે !
હાલ સાબરકાંઠામાં ભારતીય જનતા પાર્ટીએ ખેલ પાડી દીધો છે, ત્યારે હવે બીજી ઇનિંગ અરવલ્લી જિલ્લામાં શરૂ થશે કે શું તેવી પણ અટકળો શરૂ થઇ ચુકી છે. અરવલ્લી જિલ્લો એ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. ત્રણેય બેઠકો પર કોંગ્રેસનો કબજો છે. જેમાં બાયડ-માલપુર બેઠક પર જશુ પટેલ, ભિલોડા-મેઘરજ બેઠક પર સ્વ.અનિલ જોષિયારા તેમની જગ્યાએ હાલ તેમના પુત્ર કેવલ જોષિયારા રાજકારણમાં સક્રિય થયા છે જ્યારે મોડાસાની બેઠક પર રાજેન્દ્રસિંહ ઠાકોર છે. બાયડ બેઠક પર જશુ પટેલને છોડીને મોડાસાની બેઠક તેમજ ભિલોડાની બેઠક પર ભાજપ ખેલ પાડવાની તૈયારીઓ કરતું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
30, ભિલોડા વિધાનસભા બેઠક
ભિલોડા વિધાનસભા બેઠક પણ કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. પહેલેથી જ કોંગ્રેસ પાર્ટીએ જે ઉમેદવારને ટિકિટ આપી છે તે ઉમેદવારની જીત થઇ છે. વર્ષ 2002 થી ડો. અનિલ જોષિયારા કોંગ્રેસ પક્ષમાંથી જીતતા આવ્યા છે. માર્ચ, 2022માં તેઓ કોરોના સામેની જંગમાં લાંબી સારવાર પછી નિધન થતાં તેમના ચાહકોમાં દુખની લાગણી પ્રસરી હતી. ત્યારબાદ હવે તેમના પુત્ર કોંગ્રેસ તરફથી લડશે કે ભાજપ તરફથી તે અંગે કેટલીક અટકળો ચાલતી હતી, પણ કેવલ જોષિયારાએ આ અંગે સ્પષ્ટતા કરી દીધી છે કે, તેઓ કોંગ્રેસમાં જ રહેવાના છે અને પાર્ટીની વિચારધારાને આગળ ધપાવવાના છે, જોકે સમયનું ચક્ર ક્યારે અને કઇ દિશામાં ફરી જાય તે કહેવું મુશ્કેલ છે.
31, મોડાસા વિધાનસભા બેઠક
અરવલ્લી જિલ્લાનું મુખ્ય મથક મોડાસા કે, જે ભાજપનો ગઢ કહેવાતું હતું, તેને કોંગ્રેસને તોડી પાડ્યું હતું, વર્ષ 1995 થી 2007 ભાજપના નેતા દિલિપસિંહ પરમાર ચૂંટાઈ આવતા હતા, તેઓને કોંગ્રેસના નેતા રાજેન્દ્રસિંહ ઠાકોરે વર્ષ 2012ની ચૂંટણીમાં હરાવતા ભાજપના ગઢમાં ગાબડૂ પડ્યું હતું. મોડાસા વિધાનસભા બેઠક પર વર્ષ 2012 થી કોંગ્રેસ સત્તા પર છે ત્યારે વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરને ભાજપમાં જોડવાના પ્રયાસો કરવામાં આવ્યા હોવાની સુત્રો તરફથી માહિતી મળી હતી. કોંગ્રેસના ધારાસભ્યની લોકચાહનાથી હાઈ કમાન્ડે લોકસભાની ચૂંટણી 2019માં ટિકિટ આપી મેદાને ઉભા રાખ્યા હતા, જોકે પરાજય થયા હતા. હાલ મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરની કોંગ્રેસ છોડી ભાજપમાં જોવાની અટકળો ચાલતી હતી, પણ હાલ તો તેમને મીડિયા સમક્ષ ક્યાંય પણ જોડાવાનું નથી તેવું સ્પષ્ટ કરી દીધું છે, બાકી તો રાજનીતિના દાવપેચ ક્યારે ફરી જાય છે તે સૌકોઇ જાણે જ છે.
32, બાયડ વિધાનસભા બેઠક
અરવલ્લી જિલ્લાની ત્રીજી વિધાનસભા બેઠક એટલે બાયડ. બાયડ વિધાનસભાના પરિણામો હંમેશા અલગ જ રહ્યા છે. વર્ષ 2012માં ભાજપના ઉમેદવાર ઉદેસિંહ આ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા, ત્યારબાદ કોંગ્રેસ પક્ષ તરફથી જે-તે સમયના કોંગી નેતા ધવલસિંહ ઝાલાએ જીત મેળવી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાતા બાયડ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ તરફથી ધવલસિંહ ઝાલા અને કોંગ્રેસ તરફથી જશુ પટેલ ચૂંટણી મેદાને હતા. બાયડ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી તરફથી ચૂંટણી મેદાને ઉભા રહેલા જશુ પટેલ વિજયી થયા હતા. બાયડ વિધાનસભાના ધારાસભ્ય જશુ પટેલ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ નહિંવત લાગતું હોવાનું રાજનિતી તજજ્ઞોનું સ્પષ્ટ માનવું છે.
ભાજપ શું માને છે, જિલ્લાની ત્રણેય બેઠકોને લઇને
હાલ અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠકો પર કોંગ્રેસનો કબજો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ભિલોડા, મોડાસા અને બાયડ બેઠક જીતવા માટેની કવાયત તેજ કરી દીધી છે. બૂથ લેવલથી કામગીરી કરવા માટે કાર્યકરો કામે લાગી ચૂક્યા છે અને ગ્રામ્ય કક્ષાએ ટિફિન બેઠકનો દોર પણ શરૂ કર્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલે પહેલેથી જ ત્રણેય બેઠકો પર જીત મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કરી દીધો છે.
કોંગ્રેસ શું માને છે, જિલ્લાની ત્રણેય બેઠકને લઇને, તે પણ જાણો
હાલ જિલ્લાની ત્રણેય બેઠક કોંગ્રેસના હાથમાં છે. કોંગ્રેસ પાર્ટી ત્રણેય બેઠક પર બની રહે તે માટે પ્રયાસો કરે છે, તો જગ્યાએ ગાબડૂ પડવાની શક્યાતાઓ લાગી રહી છે, ત્યાં નજર બનાવી રાખી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવારે જણાવ્યું હતું કે, કોઇપણ સંજોગોમાં ત્રણેય બેઠક પર હાર થવાની નથી. ભાજપ ગમે તેટલું જોર લગાવે પણ આદિવાસી પટ્ટામાં લોકોનો કોંગ્રેસ પ્રત્યેનો પ્રેમ આજે પણ તેટલો જ છે જેટલો પહેલા હતા.
અરવલ્લી જિલ્લો એ શિક્ષણ અને તબીબી ક્ષેત્રે આગળ વધ્યો છે, પણ શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને પાટણ સુધીના ધક્કા ખાવા પડે છે, તેનું નિરાકરણ હજુ આવ્યું નથી તો સિવિલની માંગ પણ જિલ્લાની રચના થયાને 8 વર્ષ જેટલો સમય વીતી ગયો છે, હજુ સુધી આ બબતે કામ શરૂ નથી થયું તે પણ એક સવાલ છે. આ સાથે જ જિલ્લામાં યુનિવર્સિટી, રેવલે, આરોગ્ય લક્ષી સેવાઓ તેમજ સરકારી કચેરીઓમાં જમીનને લગતા કામકાજ માટે અરજદારોએ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે, પણ કોઇ ધારાસભ્ય કે સ્થાનિક નેતાઓ આ બાબતે કંઇ જ કરી શક્યા ન હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.અરવલ્લી જિલ્લાનું મોડાસા શહેર એ ટ્રાન્સપોર્ટ ક્ષેત્રનું હબ માનવામાં આવતું હતું, પણ તે નામશેષ બાકી રહ્યું છે, આ માટે કયા કારણો જવાબદાર છે તે પણ કોઇ જાણી શક્યું નથી.
આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇને જે નેતાઓ પર વિશ્વાસ લોકોએ મુક્યો હતો તે નેતાઓ પાર્ટી છોડી ચાલ્યા જાય છે પછી વિશ્વાસ કોની પર મુકવો તે સવાલ છે. પણ રાજનીતિની ગલિયોમાં આ બધુ ચાલ્યા કરવાનું.