રાજ્યના વિવિધ વિસ્તારોમાં દીપડાની દહેશત જોવા મળતી હોય છે અને માનવ પર દીપડના હુમલાની ઘટનાઓ પણ ઘટતી હોય છે. ખૂંખાર દીપડા કેટલીકવાર મનુષ્ય માટે જીવલેણ પણ સાબિત થતાં હોય છે પણ કહેવાય છે જેના માથા પર ભગવાનનો હાથ હોય તે મોતના મુખમાંથી પણ પાછો આવી જાય છે. અને બાળકો તો ભગવાનના રૂપ જ હોવાની એક માન્યતા છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં માત્ર બે મહિનાની માસુમ બાળકીને એક ખૂંખાર દિપડાએ પોતાનો શિકાર બનાવાના હેતુથી ઘરમાંથી જ ઉઠાવી ગયો હતો, પરંતુ દિપડાએ માસુમ બાળકીને શિકાર ન બનાવીને જંગલમાં છોડીને ચાલ્યો ગયો હતો. માસૂમ બાળકીને શરીરે સામાન્ય ઇજાઓ પહોંચતા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવી હતી. હાલ તેની તબિયત સ્થિર હોવાની જાણવા મળ્યુ છે.
પ્રાપ્ત માહિતી મુજબ પંચમહાલ જીલ્લાના ઘોંઘબા તાલુકામાં આવેલા જંગલ વિસ્તારમાં રહેતા દિપડાઓની દહેશત જોવા મળતી હોય છે. અહીં છાશવારે દીપડાઓ રહેણાંક વિસ્તારની માનવ વસાહતોમાં આવીને હુમલાઓની ઘટનાઓ બનતી રહે છે. આવું જ કંઈક ઘોંઘબા તાલુકાનુ વાવકુલ્લી ગામે બન્યું હતું. વાવકુલ્લી ગામ જંગલ વિસ્તારને અડીને આવેલુ છે. ત્યારે એક પરિવાર પોતાની બે માસની દુર્ગા નામની બાળકીને લઇને ઘરમાં સુઈ રહ્યુ હતુ. તે સમયે શુક્રવારે વહેલી સવારે દિપડો આવીને બાળકીને પોતાના મુખમાં લઈને જંગલ તરફ ભાગ્યો હતો. માતાપિતા જાગી જતા તેમણે બુમાબુમ કરતા આસપાસના પડોશીઓ પણ દોડી આવ્યા હતા અને જંગલમાં પોતાની બાળકીની શોધખોળ હાથ ધરી હતી.
થોડા સમય પછી દીપડો એક જંગલમાં બાળકી સાથે નજરે પડ્યો હતો. બાળકી સાથે દીપડા હોવાની નજર ગ્રામજનોની પડતાં સૌકોઇ ચોંકી ગયા હતા. દીપડાએ બાળકીને ઇજાઓ પહોંચાડી ન હતી અને પથ્થર પર મુકીને દીપડો જંગલમાં પલાયન થઇ ગયો હતો. બાળકીને છાતીના ભાગે દાંત વાગ્યાને કારણે સામાન્ય ઇજાઓ પહોંચી હતી, જેના કારણે બાળકીને ગોધરાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. પોતાની વ્હાલી દીકરીનો જીવ બચી જતાં સૌકોઇ હાશકારો અનુભવ્યો હતો.