સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસમાં બે દિવસ પહેલા મોટાપાયે ભંગાણ થયુ હતુ. બે દિવસ પહેલા રાત્રે સુરેન્દ્રનગર જિલ્લા NSUI પ્રમુખ સહીત 100 થી વધુ યુવાનોએ કોંગ્રેસમાંથી રાજીનામાં ધરી દીધા હતા. ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા અને વિશ્વાસ તથા વિકાસની રાજનીતિ સ્વીકારી છે.
Advertisement
ગુજરાત રાજયમાં વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે વિધાનસભા ચૂંટણી અગાઉ જ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એવી સુરેન્દ્રનગર જિલ્લા NSUIની ટીમના હોદ્દેદારો અને અન્ય યુવા કોંગી હોદ્દેદારોએ રાજીનામાં ધરી દીધા હતા. રાતના સમયે પ્રમુખ ધ્રુવરાજસીંહ ચુડાસમા સહીત 100 થી વધુ યુવાનોએ કોંગ્રેસમાંથી રાજીનામાં ધરી દેતા જિલ્લા કોંગ્રેસમાં ભુકંપ સર્જાયો હતો. કોંગ્રેસ માંથી પ્રાથમિક સભ્ય પદેથી સામુહિક રાજીનામાં આપ્યા બાદ ધ્રુવરાજસીંહ જાડેજા, મયુરસીંહ ચુડાસમા, વિજયરાજસીંહ જાડેજા સહીતનાઓએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ પક્ષમાં મોટાપાયે જુથવાદ ચાલી રહ્યો છે. પાર્ટીમાં યુવાનોની સતત અવગણના થાય છે. આથી તેઓએ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. આ યુવાનો તા.14 ના રોજ ગાંધીનગર કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા અને કેસરીયો ખેસ ધારણ કર્યો હતો. આ તકે યુવાનોને પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફીયા, પ્રદેશ મીડીયા ઈન્ચાર્જ યજ્ઞેશભાઈ દવે, ઝુબીનભાઈ આશરા, મનનભાઈ દાણી સહીતનાઓએ આવકાર્યા હતા. યુવાનોએ વિકાસ અને વિશ્વાસની રાજનીતિને સ્વીકારી અંત્યોદયના લક્ષને સાર્થક કરવા ભાજપનો કેસરીયો ખેસ ધારણ કર્યો છે.
Advertisement