હાર્દિક પટેલે ત્રણ વર્ષ સુધી પોતાની ‘અવગણના’ના આક્ષેપ સાથે પાર્ટી છોડી દીધી છે. ત્યારે આવનારા દિવસોમાં આ પ્રકારે વધુ રાજીનામા ન પડે તે માટે કોંગ્રેસે સફાળી જાગી ગઈ છે. અને તાત્કાલિક 120 જેટલા નેતાઓની બેઠક બોલાવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ 120 નેતાઓ એવા છે જેમને તાજેતરમાં જ ઉદયપુર ખાતે આયોજિત થયેલી ચિંતન શિબિરમાં આમંત્રણ મળ્યું નહોતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સોનિયા ગાંધીએ ઉદયપુર ચિંતન શિબિરમાં હાજર ન રહેલા નેતાઓને આમંત્રિત કર્યા છે. આ બેઠકમાં રાજ્ય સરકારોના મંત્રી, કાર્યકારી પ્રદેશ પ્રમુખ અને પક્ષ પ્રવક્તા સામેલ છે. એક દિવસ માટે આયોજિત થનારી આ બેઠક જૂનમાં મળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બેઠકમાં સોનિયા અને રાહુલ ગાંધી પણ ભાગ લેશે. આ બેઠક ચિંતન શિબિરની માફક જ મળશે જેમાં એકતરફી સંવાદની જગ્યાએ તમામ નેતાઓની નારાજગીને પણ સાંભળવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના અનેક નેતાઓ એવા છે જેમને ચિંતન શિબિરમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું નહોતું અને તેને લઈને નારાજગી દિવસેને દિવસે વધી રહી હતી. આ નારાજગી રાજીનામામાં તબદીલ ન થાય તે માટે જ કોંગ્રેસ દ્વારા તાત્કાલિક આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પહેલાં સોનિયા ગાંધીએ ચિંતન શિબિરમાં ભાષણ આપતાં કહ્યું હતું કે જે કાર્યકર અહીં નથી તે પણ પક્ષ માટે એટલા જ મહત્ત્વના છે જેટલા અહીં હાજર રહેલા નેતાઓ અને કાર્યકરો છે. સોનિયાએ કહ્યું હતું કે, હું એ વાતથી બરાબરની પરિચીત છું કે અમારા કેટલાક સહયોગી બેઠકમાં હાજર રહેવા માંગતા હતા પરંતુ અમુક કારણોથી અમે તેમને આમંત્રિત કરી શક્યા નથી. ચિંતન શિબિરમાં સોનિયા ગાંધીએ એવી જાહેરાત પણ કરી હતી કે કોંગ્રેસ 2 ઑક્ટોબરથી ‘ભારત જોડો’ પદયાત્રા શરૂ કરશે જે ક્ધયાકુમારીથી કાશ્મીર સુધી જશે.