ગુજરાતના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે વર્ષો સુધી સમાજ ને અંદરો અંદર લડાવવાનું કામ કર્યું, જ્યારે નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પહેલા ગુજરાતમાં વર્ષના 365 માંથી 200 દિવસ કર્ફ્યું રહેતો. વ્યાપાર, કારખાના, બેંકો અનેક દિવસો સુધી બંધ હોવાના કારણે અર્થવ્યવસ્થા પર તેની નકારાત્મક અસર પડતી.
કોંગ્રેસના શાસનમાં રથયાત્રામાં છાશવારે હુમલા કરવામાં આવતા પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી રથયાત્રામાં હુમલો કરવાની કોઇની હિંમત નથી. અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાતને સુરક્ષિત કરવાની શરૂઆત કરી અને આજે ગુજરાત સરહદી રાજ્ય હોવા છતાં શાંતિ સ્થાપવામાં ગુજરાતે સફળતા પ્રાપ્ત કરી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને સુરક્ષિત કરવા ચાલુ કરેલી પરંપરા આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી આગળ વધારી રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ પર આવીને હંમેશા નવી ચેતના અને ઊર્જા પ્રાપ્ત થતી હોવાનું અમિતભાઇ શાહે જણાવ્યું હતું. પોલીસના રહેણાંક અને બિન રહેણાંક આવાસોનું લોકાર્પણ ખેડા ખાતે કર્યું એ દરમિયાન તેમણે આ વાત કહી હતી.