અરવલ્લી જિલ્લામાં સતત કાયદો વ્યવસ્થા કથળતી હોય તેવુ લાગે છે, જેમાં મારા-મારી, લૂંટ તેમજ હત્યાની ઘટનાઓ મોખરાના સ્થાને છે. ભિલોડામાંથી 45 દિવસ અગાઉ ગુમ થયેલ 19 વર્ષીય યુવકની આખરે લાશ મળી આવી છે. ગુમ થયેલા યુવકની હત્યા કરીને લાશને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બાંખોર ગામની સીમમાં લાટી દેવાઇ હતી, જેને 30 મે ના રોજ મોડી રાત્રે બહાર કાઢવામાં આવી હતી. બાખોર ગામના વાંઘાની ઘાટીમાં લાશને દાટી સગેવગે કરવાના કૃત્યમાં મદદગારી કરનાર અન્ય એક યુવકથી મૃતકના પરિવારનું દુ:ખ સહન ન થતાં ગુમશુદા યુવકની હત્યાનો પર્દાફાશ થયો હતો. જોકે, માહિતી આપનાર યુવક નિશાન દેહી પર તપાસ કરવા ભિલોડા પોલીસ બાંખોર આવીને જ્યુરિડિક્શનનું કારણ બતાવી વિદાય થઇ જતા સાંજ સુધી પરિવારજનો બેસી રહ્યા હતા.
ગુમ થયેલ યુવકની શોધખોળ કરવા માટે પરિવાર છેલ્લા દોઢ માસથી ભટકતો હતો. ગુમ થનાર યુવકના પિતા જણાવ્યું હતુ કે, ચિંતાતુર પરિવારની સ્થિતિને સહન ન કરી શકનાર એક યુવકે માહિતી આપી હતી કે, વિજયભાઇ અને હાર્દિકભાઇ નામના બે યુવકોએ મૃતક યુવાનને માર મારી એક દિવસ અને એક રાત ઝૂંપડામાં મૂકી રાખ્યો હતો અને તેની લાશ વગે કરવા મદદમાં બોલાવ્યો હતો.
શું હતો સમગ્ર મામલો
માહિતી એવી હતી કે, ભિલોડાના ગોવિંદનગરમાં રહેતા કાળુભાઇ બાબુભાઇ છગનભાઇ ચામઠા તા.14-04-22 ના રોજ બાઇક લઇને સાંજે ચારેક વાગ્યે નીકળ્યો હતો. રાત્રે પણ ઘેર પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ મળી ન આવતાં પોલીસને બીજા દિવસે જાણ કર્યા બાદ તા.25-04-22 ના રોજ સ્ટેશન ડાયરીમાં વિધિવત નોંધ કરાઇ હતી.