ફેબ્રુઆરી મહિનાના અંત ભાગમાં શરુ થયેલું રશિયા અને યુક્રેનનું યુદ્ધ હજી પણ યથાવત છે. રશિયાની સેના હાલ એક-એક કરીને યુક્રેનના શહેરોને તબાહ કરી રહી છે. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી યુક્રેનના પૂર્વી ઔધ્યોગિક ક્ષેત્ર સેવેરોદોનેત્સક, લુહાન્સકમાં ભિષણ યુદ્ધ ચાલી રહ્યું છે. મારિયુપોલ જેવી સ્થિતિ હાલ લુહાન્સકમાં જોવા મળી રહી છે. રશિયાના સતત વધી રહેલા હુમલાથી લુહાન્સકમાં તબાહી જ તબાહી જોવા મળી રહી છે. રશિયાના હુમલાથી બચવા એક કેમિકલ ફેક્ટરીમાં લગભગ 800 લોકો છુપાયા હોવાનો દાવો કરાઈ રહ્યો છે. તો બીજી તરફ લુહાન્સકના ગવર્નરે કહ્યું કે, રશિયા સામે યુક્રેની સૈના આત્મસમર્પણ નહી કરે.
યુક્રેનનો આરોપ છે કે, રશિયા યુક્રેની સૈનિકોને બંધક બનાવીને રશિયામાં લઈ ગયું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સકીએ યુદ્ધ કેદીઓને લઈ જર્મનીના ચાન્સેલર સાથે ફોન પર વાતચીત કરી છે. તેમની વચ્ચે યુદ્ધ વિશે વાતચીત પણ થઈ હતી. મહત્વનું છે કે જે શહેરોમાં રશિયન સેનાના હુમલા યથાવત છે ત્યાંથી યુક્રેની નાગરિકોનું પલાયન હજુ પણ ચાલુ છે. પોલીસ પણ નાગરિકોને શહેરમાંથી બહાર નિકળવા માટે મદદ કરી રહી છે. રશિયાની સેનાએ ખારકીવમાં એક શોપિંગ મોલને મિસાઈલથી ઉડાવી દીધો હતો. આ સાથે એક રહેણાંક વિસ્તારમાં પણ હુમલો કરાયો હતો અને આ હુમલમાં એક વ્યક્તિનું મોત થયું હતું.
યુક્રેનનો આરોપ છે કે, રશિયા યુક્રેની સૈનિકોને બંધક બનાવીને રશિયા લઈ જઈ રહ્યું છે. મારિયુપોલમાં રશિયા સામે લડેલા 1000 યુક્રેની સૈનિકોને રશિયા લઈ જવામાં આવ્યા હોવાના અહેવાલ પણ મળ્યા છે. ભવિષ્યમાં પણ યુક્રેનના સૈનિકોને રશિયા લઈ જવા માટે આયોજન કરાયું છે.