પોલિસ હંમેશા વિવાદોમાં આવતી હોય છે, કેટલાય પોલિસ કર્મચારીઓ સારી કામગીરી કરીને નામના મેળવતા હોય છે, પણ અમુક ટકા એવા પોલિસ અધિકારીઓ કે કર્મચારીઓ હોય છે, જેથી સમગ્ર પોલિસ આલમ પર તેની સીધી અસર વર્તાય છે. આવો જ એક કિસ્સો અરવલ્લી જિલ્લાના મોડાસામાં સામે આવ્યો છે કે, જ્યાં મોડાસા ગ્રામ્ય પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલિસ ઇન્સ્પેક્ટર ચેતનસિંહ રાઠોડે વકીલ સાથે અશોભનિય વર્તન કરતા અરવલ્લી ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન નારાજ થયું છે.
નવા અધિકારીઓ આવે છે અને જાણે તેઓ જ છે આવું માનીને કામગીરી કરવામાં કેટલીક વાર તેઓ આસપાનું બધુ ભૂલી જતાં હોય છે અને ન કરવાનું થઇ જાય છે અને કેટલીક વાર ન બોલવાનું બોલાઈ જાય છે. આવા અધિકારીઓને હેડ ક્વાર્ટરમાં તાલિમ અને શિસ્ત માટે મુકી દેવા જોઇએ. જો એક વિદ્વાન વકીલ સાથે આવું વર્તન કરતા હોય તો સામાન્ય માણસ સાથે કેવો વ્યવહાર થતો હશે તે એક સવાલ છે. આ તો વકીલ આલમ છે એટલે આવા અધિકારીઓને ખુલ્લા પાડી રહ્યા છે, બાકી તો સામાન્ય વ્યક્તિની તો હિંમત જ ન ચાલે.
અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનનું કહેવું છે કે, મોડાસા રૂરલ પોલિસ સ્ટેશનના પી.એસ.આઈ. ચેતનસિંહ રાઠોડે વકીલ ગોપાલ ટી. ભરવાડ સાથે રૂરલ પોલિસ મથકે તેમના અસીલની ફરિયાદના કામે 10-06-2022ના રોજ સાજે 5.30 થી 6.30 વાગ્યાના અરસામાં ગયા હતા ત્યારે પી.એસ.આઈ. ચેતનસિંહ રાઠોડે તેમની સાથે અશોભનિય વર્તન કર્યું હતું. અરવલ્લી જિલ્લા બાર એસોસિએશનનો એમ પણ આક્ષેપ છે કે, પી.એસ.આઈ.ઉશ્કેરાઈ ગયા અને અપશબ્દો બોલવા લાગ્યા હતા અને વકીલ ગોપાલ ટી.ભરવાડને Get Out કહી અને સ્ટેશન ડાયરીમાં નોંધ કરવાની ધમકી આપી બિભત્સ વર્તન કર્યું હતું.
બાર એસોસિએશને જણાવ્યું છે કે, આવી ઘટના પ્રથમ વખત નહિ પરંતુ આ અગાઉ પણ વકીલ વી.એન. સોનીની હાજરીમાં તેમના પક્ષકારોને બીભત્સ ગાળો બોલી કાઢી મુકયા હતા. એટલુ જ નહીં વકીલ રાહુલ જી. ભરવાડ સાથે પણ અસભ્ય શિસ્ત બાર વિરુદ્ધનું વર્તન કર્યુ હતું.
વકીલ સાથે થયેલા અશોભનિય વર્તનને લઇને અરવલ્લી જિલ્લા બાર એસોસિએશને સમગ્ર ઘટનાને વખોડી કાઢી છે અને મોડાસા ગ્રામ્ય પી.એસ.આઈ. ચેતનસિંહ રાઠોડના વિરૂદ્ધમાં કોર્ટમાં ફરિયાદ કરવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે.
વકીલ સાથે અપશબ્દો બોલ્યા અંગે મેરા ગુજરાતે ટેલિફોનિક વાતચિત કરી તો પી.એસ.આઈ. ચેતનસિંહ રાઠેડે જણાવ્યું કે, આ ખોટી વાત છે.