ગુજરાત રાજ્યમાં આવીલ નગર પાલિકાઓમાં મહેકમની જગ્યાઓ પર માન્ય ભરતી પ્રક્રિયામાં વર્ષો જુના સફાઈ કામદારોને ભરતીમાં સમાવેશ ન કરવાના પરિપત્રની હોળી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કરવામાં આવી હતી. મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ચાર રસ્તા ખાતે નાયબ કમિશનરના પરિપત્રની હોળી કરી વિરોધ દર્શાવ્યો હતો. મોડાસા નગર પાલિકામાં ફરજ બજાવતા સફાઈકામદારો સાથે ગુજરાત વાલ્મિકી સંગઠનના આગેવાનોએ ભારે વિરોધ દર્શાવી સુત્રોચ્ચાર કર્યા હતા.
ગુજરાત વાલ્મિકી સંગઠને રજૂ કરેલ પરિપત્ર શું છે તે જાણો
મ્યુનિસિપલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા મહેકમ-1/જેતપુર/ફા.નં 1697/વશી. 169/2022 ના પરિપત્રનો ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં બીજા ફકરામાં જણાવેલ છે કે, નગર પાલિકા ખાતે મંજૂર થયેલ મહેકમની જગ્યાઓ પર રોજમદાર કર્મચારીઓને નિમણૂક આપી શકાય નહીં. પરંતુ અનુભવે જણાયેલ છે કે, નગર પાલિકાઓ દ્વારા માન્ય ભરતી પ્રક્રિયા અનુસાર ભરતી કરવામાં આવતી નથી અને નગર પાલિકા દ્વારા મંજૂર થયેલ મહેકમની જગ્યા પર રોજમદાર કર્મચારીઓને નિમણૂક આપવામં આવે છે. આવા રોજમદાર કર્મચારી થોડા સમય માટે રોજમદાર તરીકે ફરજ બજાવ્યા બાદ સેવા વિનિયમીત કરવા બાબતે નામ.કોર્ટ સમક્ષ દાદ માંગવામાં આવે છે. જેના કારણે લાંબા ગાળે આવા રોજમદાર કર્મચારીઓની સેવા વિનિયમીત કરવાનો પ્રશ્નો ઉપસ્થિત થાય છે જે યોગ્ય નથી.
શું કહેવું છે ગુજરાત વાલ્મિકી સંગઠનનું તે જાણો
ગુજરાત વાલ્મિકી સગંઠનનું કહેવું છે કે, કમિશનર દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર રાજ્યની નગર પાલિકાઓ માટે બહાર પાડેલ છે તે વર્ષો જુના સફાઈ કામદારોને કાયમી નોકરીઓમાં અન્યાય કરતો પરિપત્ર હોઇ તાત્કાલિક ધોરણે રદ્દ કરી વર્ષો જુના રોજમદારોને કાયમી ધોરણે નોકરીમાં ભરતી કરી ન્યાય આપવો જોઇએ.
ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખની ચીમકી
ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે આ પરિપત્રને સફાઈકામદારોના વિરોધમાં ગણાવ્યો હતો, તેમણે ઉમેર્યું હતું કે, વર્ષોથી કામ કરતા રોજમદારોને કાયમી કરવા નહીં. આ સાથે જ તેમણે કહ્યું કે, તમામ સફાઈ કામદારોની ઇચ્છા હોય કે, ક્યારેક તેઓ કાયમી થશે પણ આ પરિપત્રથી તેમની આશાઓ પર પાણી ફરી વળશે.
પરિપત્ર રદ્દ નહીં થાય તો ગાંધીનગર છાવણી ખાતે પ્રદર્શનની ચીમકી
ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે ચીમકી ઉચ્ચારી છે કે, આ પરિપત્ર સફાઈ કામદારોના વિરોધમાં છે અને જો આવનારા સમયમાં આ પરિપત્ર રદ્દ નહીં થાય તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં 162 નગર પાલિકાઓના સફાઈ કામદારો સાથે વિરોધ પ્રદર્શન કરશે.
સફાઈ કામદારો એ શહેરને બગાડતા નથી પણ સ્વચ્છતાના પ્રતિક છે આવા યોદ્ધાઓને યોગ્ય ન્યાય મળવો જોઇએ તેઓની માંગ સંતોષાય તેવી માંગ પ્રબળ બની છે સફાઈ કામદારોના વિરૂદ્ધનો પરિપત્ર ક્યારે રદ્દ થાય છે અથવા તો આ બાબતે ક્યારે સ્પષ્ટતા થાય છે તે જોવું રહ્યું.
સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાઓ… Mera Gujarat