નવી દિલ્હી : રાજધાનીમાં પોતાની આગવી ચિત્રકળા શૈલી માટે જાણીતા શૈલેષ સંઘવીને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી જી. ક્રિષ્નન રેડ્ડીના હસ્તે રાજા રવિ વર્મા સન્માન એનાયત થયું. સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી મેઘમંડળ સંસ્થાન બાડમેર દ્વારા દિલ્હી પોલીસ મુખ્યાલય ખાતેના આદર્શ હોલમાં મંગળવારે સાંજે યોજાયેલ ‘ચિત્રાંજલિ’ સમારોહમાં શ્રી સંઘવીને આ બહુમાન અર્પણ કરાયું હતું. આ પ્રસંગે ત્રિપુરાના ભૂતપૂર્વ રાજ્યપાલ પ્રો. કપ્તાનસિંહ સોલંકી, દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાના, જાણીતાં નૃત્યાંગના અને રાજ્યસભા સંસદસદસ્ય ડો. સોનલ માનસિંહ, રાજા રવિ વર્માના વંશજ રામવર્મા થમપુરણ, મેઘમંડળનાં વિમલેશ બ્રીજવાળ વગેરે મહાનુભાવો ઉપસ્થિત હતા. ભારતીય ચિત્રકલામાં રાજા રવિ વર્માનું ઘણું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. દેવી-દેવતાઓ અને પુરાણ આધારિત એમનાં ચિત્રો વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામ્યાં છે. એમની ૧૭૪મી જન્મજયંતિ અને આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના અવસરે યોજાયેલા આ વિશિષ્ઠ સમારોહમાં દેશના અન્ય વિલક્ષણ ચિત્રકારો અને દિલ્હીની વિદ્યાલયોના બાળ-ચિત્રકારોને સન્માનિત કરાયાં હતાં. દિલ્હીમાં ઘણા ખ્યાતનામ ગુજરાતી ચિત્રકાર, પેઈન્ટરો છે જેઓ પોતપોતાની વિલક્ષણ ચિત્રશૈલી માટે જાણીતા છે એમાં શ્રી શૈલષ સંઘવી પોતાની મ્યુરલ, ઍબ્સ્ટ્રેક્ટ અને મલ્ટીમીડિયા કલાકૃતિઓ અને જેમાં બનારસ થીમ વિશિષ્ટતા માટે જાણીતા છે. અગાઉ તેમણે બનારસ થીમની એક પ્રતિકૃતિ અમિતાભ બચ્ચનને ભેટ કરી હતી. પાછલાં વર્ષોમાં શ્રી સંઘવીએ દિલ્હીમાં અનેક ચિત્ર પ્રદર્શનો કર્યાં છે. એમને એનાયત થયેલ રાજા રવિ વર્મા સન્માન દિલ્હીના ગુજરાતીઓ માટે ગૌરવરૂપ ઘટના છે.