વિધાનસભાની ચૂંટણી પહેલા અરવલ્લી જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થવાની ભવિષ્યવાણી વ્યક્ત કરવામાં આવી છે, અને આ અંગે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને પત્ર લખીને જાણ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતીના પૂર્વ ચેરમેન ડો. ચિરાગ ઉપાધ્યાએ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખને પત્ર લખીને જાણ કરી છે કે, અરવલ્લી જિલ્લામાંથી કોંગ્રેસ પક્ષના આગેવાનો ભાજપમાં જોડાઈ રહ્યા છે, જેઓને અટકાવવા.
ડોક્ટર ચિરાગ ઉપાધ્યાએ લખેલા પત્રમાં કોંગ્રેસ પાર્ટીમાં થતાં ભંગાણને લઇને ચિંતા વ્યક્ત કરતા લખ્યું છે કે, જિલ્લા કોંગ્રેસના પાયાના અને લોકપ્રિય નેતાઓ ભાજપમાં જોડાઇ રહ્યા છે, જે એક ચિંતાનો વિષય છે. જે લોકોએ વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં વફાદાર રહીને કામ કર્યું હોય તેવા કાર્યકરો અને આગેવાનો ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે, આવા આગેવાનો કોંગ્રેસ કેમ છોડી રહ્યા છે તે અંગે ચિંતા વ્યક્ત કરતા સવાલો પણ પૂછ્યા છે.
જિલ્લા કોંગ્રેસ પાર્ટીના આગેવાન અને જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતીના પૂર્વ ચેરમેને પ્રદેશ કોંગ્રેસને પૂછેલા કેટલાક સવાલો :-
- પાયાના આગેવાનો કોંગ્રેસ છોડીને કેમ જાય છે?
- કોંગ્રેસ પાર્ટી છોડીને જતાં કાર્યકરોને કેમ અટકાવાતા નથી?
- કોંગ્રેસ છોડી ન જાય તેવા કાર્યકરો માટે કોઇ માસ્ટર પ્લાન છે કે નહીં ?
ચૂંટણી પહેલા ચિંતા વ્યક્ત કરી
આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને જિલ્લા કોંગ્રેસમાં મોટું ગાબડું પડવાની સંભાવના જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ વ્યક્ત કરી છે, અને જો આમ થાય તો જિલ્લા કોંગ્રેસની બેઠકો ગુમાવવી પડી શકે એમ છે. છેલ્લા ઘણા સમયથી જિલ્લાની ત્રણેય બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો છે, આ વચ્ચે લેટર બોંબથી પ્રદેશ સમિતી દ્વારા શં ગંભીરતા દાખવવામાં આવે છે તે પણ એક સવાલ છે.
ટીમ મેરા ગુજરાત