દેશભરમાં કોરોનાના કેસો અને સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 12 માર્ચના નોંધાયેલા નવા કેસોની સરખામણીએ આજે કોરોનાના નવા કેસોમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં 2490 નવા કેસ નોંધાયા છે. જેની સામે છેલ્લા 24 કલાકમાં 5,559 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. આ સાથે જ લાંબા સમય બાદ દેશમાં મૃત્યાંક 50 થી નીચે ગયો છે, એટલે કે ગત 24 કલાકમાં 47 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. જેની સામે દેશમાં હાલ સક્રિય કેસની સંખ્યા પણ ઘટીને 38,069 એ પહોંચી છે. દેશભરમાં અત્યારસુધીમાં કુલ 4,24,37,072 દર્દીઓએ સફળતા પૂર્વક કોરોના મહામારીને મ્હાત આપી છે.
કોરોના મહામારીના સંક્રમણમાં ઘટાડો લાવવામાં રસીકરણ અભિયાનનો મહત્વનો ફાળો રહ્યો છે. દેશમાં કોવિડ-19 વેક્સિનેશન ડોઝની સંખ્યા 180 કરોડને પર કરી ચુકી છે. ત્યારે ગત 24 કલાક દરમિયાન જ દેશમાં 20,31,275 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે. જ્યારે અત્યારસુધીમાં કોરોના રસીના કુલ 1,80,13,23,547 થી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોનાને જળમૂળથી નાબૂદ કરવા માટે ટેસ્ટિંગનો દર પણ હાલમાં વધારવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 7,61,731 લોકોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે અત્યારસુધીમાં કુલ 77,85,20,151 કરોડથી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.