અરવલ્લી જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ભિલોડા અને મોડાસા પંથકમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. શામળાજી પંથકમાં ભારે વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે તો કેટલાક રોડ રસ્તાઓ બ્લોક થયા છે, ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. આ વચ્ચે મોડાસા તાલુકાના રખિયાલ જાલમપુર નજીક 14 લોકો નદીના પુરમાં ફસાયા હતો જોકે આ તમામ લોકોને પોલિસની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ વાત એ કે, સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન શસ્ત્ર પ્રદર્શન માટે આવેલી SDRF ની ટીમ દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
સ્વતંત્રતા પર્વની ઉજવણી પછી રજાનો માહોલ છે, તમામ કચેરીઓ બંધ છે અને અધિકારીઓ રજા પર છે ત્યારે પોલિસની ટીમ ખડેપગે રહીને પૂરમાં ફસાયેલા લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મોડાસા તાલુકાના જામાપુર રખિયાલ નજીકથી પસાર થતી મેશ્વો નદીના બીજા કિનારા પર કેટલાક લોકો ખેતરમાં વસવાટ કરતા હતા જોકે ઉપરવામાં ભારે વરસાદને કારણે અચાનક નદીમાં ભારે પૂર આવ્યું હતું જેને કારણે 14 જેટલા લોકો ખેતરમાં ફસાઈ હતા જે ગામમાં આવી શકે તેવી પરિસ્થિતિ નહોતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક જિલ્લા પોલિસને જાણ કરવામાં આવતા જિલ્લા પોલિસ વડા સંજય ખરાતે આ બાબતની ગંભીરતા દાખવી હતી અને નાયબ જિલ્લા પોલિસ વડા ભરત બસિયાએ એસડીઆરએફની ટીમ હોવાની જાણ થતાં આ ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરી હતી.
જિલ્લા પોલિસ તંત્રની સૂઝબૂઝથી નદીની બીજી બાજુ ખેતરમાં ફસાયેલા 14 લોકોને સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં તાત્કાલિક એસ.ડી.આર.એફ. પોલિસની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી તમામ લોકોને ગામમાં પરત લાવવામાં આવતા રાહતનો શ્વાસ લીધો હતો.