ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં તલાટી, શિક્ષકો, આંગણવાડી કાર્યકર મહિલાઓ, મધ્યાહન ભોજનના સંચાલકો, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, બિનસચિવાલય ક્લાર્ક તેમજ વનવિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને હડતાળ કરી હતી તો કેટલાક વિભાગોના કર્મચારીઓ કામથી અડઘાં રહ્યા છે. આ વચ્ચે વનવિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાતા જંગલો હવે માત્ર 6 હજાર રૂપિયાના નજીવો પગાર મેળવતા ચોકીદાર અને રોજમદારો સંભાળી રહ્યા છે. પણ હવે ચોકીદાર કે રોજમદારો હડતાળમાં જોડાશે તો જંગલોનું શું થશે તે એક સવાલ છે. જંગલોમાં કામ કરતા રોજમદાર, ચોકીદાર અને માળીએ અરવલ્લી જિલ્લા કલેક્ટરને અને મદદનીશ વન સંરક્ષકને આવેદન પત્ર આપી પોતાની રજૂઆત કરી છે, આ સાથે જ આગામી 19 સપ્ટેમ્બરના રોજ સોમવારથી તેઓ હડતાળ પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાતના હજારો જેટલા વનવિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઇને હડતાળમાં જોડાયા છે, જેને લઇને જંગલોની સાર-સંભળ માત્ર ચોકીદાર અને રોજમદારો જ કરી રહ્યા છે. આવા ચોકીદારોને મહિના સરેરાશ 6 હજાર જેટલો જ પગાર મળે છે અને આખા જંગલોની રક્ષા કરે છે. પણ તેઓની વાત કોઇ સાંભળવા જ તૈયાર નથી, ચોકીદાર, રોજમદાર અને માળીનો પગાર વધારવો તે અધિકારીઓના હાથની વાત છે, પણ તેઓ વાત સાંભળતા જ નથી તો બીજી બાજુ ફોરેસ્ટર અને બીટગાર્ડ હડતાળમાં જોડાયા છે તો તેમની વાત સરકાર નહીં સાંભળે તો કેવું થશે તે વિચારવું જોઇએ.
પ્રાપ્ત માહિતી મુજબ રોજમદાર અને ચોકીદારોને 30 દિવસ નોકરી કરવી પડે છે અને પગાર 18 દિવસનો જ આપવામાં આવી રહ્યો હોવાની બૂમો ઉઠવા પામી છે.
જંગલોમાં કામ કરતા રોજમદાર, ચોકીદાર અને માળીને સાંભળવાનો સમય અરવલ્લી જિલ્લા ફોરેસ્ટ ઓફિસની કચેરીના ઇન્ચાર્જ એ.સી.એફ. સાહેબને સમય જ નહોતો, કલાક સુધી રોજમદારો, ચોકીદારો અને માળી કચેરી બહાર ઊભા રહ્યા પણ તેઓની વાત કોઇ મોડે મોડે સાંભળી હતી અને જવાબ પણ ઉડાઉ આપ્યો હતો. અધિકારી થઇ ગયા એટલે પાવર આવી જાય છે આવા અધિકારીઓ ગ્રાઉન્ડ પર કામ કરે તે ખ્યાલ આવે કે જંગલમાં કેવી રીતે કામ કરી શકાય.
ચોકીદાર/રોજમદારોની મુખ્યમાંગ
કાયમી કરવા
પગાર વધારો કરવો
હાલ વનવિભાગના ફોરેસ્ટર અને બિટગાર્ડ હડતાળમાં જોડાતા માત્ર જંગલોમાં રોજમદાર અને ચોકીદાર જ જંગલોનું રક્ષણ કરતા નજરે પડી રહ્યા છે, ત્યારે આગામી 19 સપ્ટેમ્બર 2022 થી તેઓ હડતાળમાં જોડાવાના છે ત્યારે જંગલો કોના ભરોસે રહેશે તે પણ સવાલ છે…