વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આદિજાતિ જિલ્લા ભરૂચના આમોદથી રૂ. 8000 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુર્હૂત-લોકાર્પણ કર્યા
-: વડાપ્રધાન :-
ગુજરાત અને ભારતના વિકાસમાં ભરૂચની મહત્વની ભૂમિકા છે
નરેન્દ્ર-ભૂપેન્દ્ર ની ડબલ એન્જીન સરકારના પરિણામે રાજ્યમાં વિકાસ કામો મોટા પાયે અને તીવ્ર ગતિએ પૂરા થાય છે
નીતિ અને નિયત બેયના આધારે વિકાસના સપના સાકાર કરતું સુદ્રઢ વાતાવરણ બન્યું છે
આદિજાતિઓએ વિકાસ યાત્રામાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે
ભારતનું અર્થતંત્ર ર૦૧૪માં વિશ્વમાં 10મા ક્રમે થી આજે પાંચમા સ્થાને આવી ગયું
કોરોના સામેના જંગમાં ગુજરાતે દેશને મોટી મદદ કરી-દેશના ફાર્મા એક્સપોર્ટનો 25 ટકા હિસ્સો ગુજરાત ધરાવે છે
ભરૂચ-અંકલેશ્વરનો વિકાસ ટવીન સિટી મોડેલ આધારે થઇ રહ્યો છે
વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ભરૂચ જિલ્લાના આમોદ ખાતેથી રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કના શિલાન્યાસ સહિત રૂ. 8200 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ-ખાતમૂર્હત સંપન્ન કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જંબુસરમાં અંદાજે રૂ. 2506 કરોડના ખર્ચે નિર્માણ થનાર રાજ્યના સર્વ પ્રથમ સુવિધાયુક્ત બલ્ક ડ્રગપાર્કનું ખાતમુહૂર્ત કરવા સાથે દહેજમાં રૂ.568 કરોડના ખર્ચે નિર્માણ થનાર ડીપ-સી પાઇપલાઇન પ્રોજેક્ટ,રૂ. 30 કરોડના ખર્ચે અંકલેશ્વર અને પાનોલીમાં નિર્માણ થનાર મલ્ટીલેવલ ઔધોગિક શેડ તથા રૂ.100 કરોડના ખર્ચે અંકલેશ્વર એરપોર્ટ ફેઝ – 1 કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરીને ગુજરાતને વિકાસની વધુ એક ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત સરકારના જાહેર સાહસ ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સના રૂ.4105 કરોડના વિવિધ વિસ્તરણ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. GACL ના આ વિવિધ પ્લાન્ટ થકી દેશના અમૂલ્ય વિદેશી હૂંડિયામણની બચત થવા સાથે રાષ્ટ્રને “આત્મનિર્ભર ભારત” ની દિશા તરફ આગળ વધવામાં મદદ કરશે. આ સાથે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ (નાલ્કો) સાથેના સંયુક્ત સાહસ જીએસીએલ-નાલ્કો આલ્કલીઝ એન્ડ કેમિકલ્સપ્રાઈવેટ લિમિટેડ (જીએનએએલ) પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. તેમણે બનાસકાંઠા જિલ્લાના મુડેઠામાં રૂ.70.87 કરોડના ખર્ચે નિર્માણ થનાર એગ્રો ફૂડ પાર્ક, ભરૂચ જિલ્લાના વાલીયા, છોટાઉદેપુરના વનાર, દાહોદના ચાકલીયા અને બનાસકાંઠાના અમીરગઢમાં રૂ. 127.58 કરોડના ખર્ચ નિર્માણ પામનાર ચાર ટ્રાઈબલ ઔધોગિક પાર્ક, વલસાડ જિલ્લાના કઠવાડી – દાંતી ખાતે રૂ.89.98 કરોડના ખર્ચ આકાર લેનાર સી – ફૂડ પાર્ક તથા મહીસાગર જિલ્લાના ખાંડીવાવ ખાતે રૂ.176.94 કરોડના ખર્ચ સ્થાપનાર એમએસએમઇ પાર્કનું ભૂમિપૂજન કર્યું હતું. ભરૂચ શહેરમાં રૂ.117.53 કરોડના ખર્ચે આકાર પામેલ ભૂગર્ભ ડ્રેનેજ અને એસ.ટી.પી, રૂ.42 કરોડના ખર્ચે નિર્માણ થયેલ ઉમલા-અસા-પાનેઠા માર્ગ અને રૂ.315 કરોડના ખર્ચે આઈઓસીએલ દ્વારા નિર્મિત દહેજ-કોયલી પાઈપલાઈનનું પણ લોકાર્પણ કર્યું હતું.
વડાપ્રધાનશ્રીએ ગુજરાત અને દેશના વિકાસમાં ભરૂચની મહત્વપૂર્ણ ભૂમિકાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.
આ સંદર્ભે તેમણે કહ્યું કે, એક સમયે ખારી શીંગ માટે ઓળખાતા ભરૂચ જિલ્લાએ હવે ઉદ્યોગો, બંદરો, વ્યાપાર ઉદ્યોગોથી વૈશ્વિક ઓળખ મેળવી છે. નર્મદા તટ પરની આ પવિત્ર ભૂમિના સંતાનો કનૈયાલાલ મુનશી, પંડિત ઓમકારનાથ શાસ્ત્રી જેવા મહાનુભાવોએ ભરૂચ સાથે ગુજરાતને પણ ગૌરવ અપાવ્યું છે. ઔદ્યોગિક ગતિ-પ્રગતિમાં શિરમૌર રહેલા ભરૂચ અને અંકલેશ્વરનો વિકાસ ટવીન સિટી મોડેલ આધારિત થઇ રહ્યો છે એમ તેમણે ઉમેર્યુ હતું.
વડાપ્રધાનશ્રીએ તેમના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન કરેલા વિકાસકામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કામોમાં ફાળવેલા નાણાં ભૂતકાળની સરકારોના કુલ વાર્ષિક બજેટ જેટલા હોવાનું જણાવી ઉમેર્યું કે, નરેન્દ્ર અને ભૂપેન્દ્ર સરકાર એમ ડબલ એન્જીન સરકારના પરિણામે રાજ્યમાં વિકાસ કામો મોટાપાયે અને તીવ્ર ગતિએ પૂર્ણ થાય છે.
આ પ્રસંગેપ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદી, સહકાર, કુટિર ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ, સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય સર્વ ઈશ્વરસિંહ પટેલ, અરુણસિંહ રણા, જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, GIDC ના વહીવટી સંચાલક એમ.થેન્નારસન, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ અધિક્ષક લીના પાટીલ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી.