સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેકટર કે.રાજેશની લાંબી તપાસ બાદ CBI એ ધરપકડ કરી લીધી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં રોકાઇને CBI ની ટીમે ખાસ કરીને હથિયારના આપેલા લાઈસન્સના પુરાવા તથા જળસંચયમાં જમા થયેલા ચેક સહિતના લીધેલા દસ્તાવેજો ધરપકડ માટે મહત્વના હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પૂર્વ કલેક્ટર કે.રાજેશ સામે રૂપીયા લઇને હથિયારના પરવાના આપવાના, ખોટી રીતે સંસ્થાઓને જમીન ફાળવી દેવાની સાથે, મંડળીને જમીન ફાળવવાની સાથે ચોટીલામાં જમીન ફાળવણીમાં પણ વિવાદ થયો હતો. આવી અનેક રજૂઆત મળતા CBI એ તપાસ હાથ ધરી હતી અને આ માટે CBI ની ટીમે સુરેન્દ્રનગરમાં ધામા નાખ્યા હતા. જેમાં ખાસ કરીને કલેકટરે તેમના સમયમાં આપેલા હથિયારના પરવાનાના તમામ દસ્તાવેજી પુરાવા CBI એ હસ્તક કર્યા હતા. જેમાં કેટલા કેસમાં પોલીસનો અભિપ્રાય નેગેટીવ છે આ તમામ બાબતોની CBI એ તપાસ કરી હતી. આ ઉપરાંત હથિયારના પરવાના માટે લીધેલા પૈસા જળસંચયના ખાતામાં જમા કર્યા હોવાની રજૂઆત થતા જળસંચય વિભાગમાં તો દસ્તાવેજી પુરાવા હસ્તક કર્યા જ હતા. પરંતુ સાથે સાથે બેંકના એકાઉન્ટની તપાસ પણ કરી હતી. ઉપરાંત આ વિભાગના પ્યુનથી લઇને અધિકારી સુધીના તમામ કર્મચારીઓને CBI ની ટીમે ગાંધીનગર બોલાવીને નિવેદનો લીધા હતા. એવું માનવમાં આવી રહ્યું છે કે આ તમામ દસ્તાવેજી પુરાવાઓ કે.રાજેશની ધરપકડ માટે મહત્વના બન્યા છે. ધરપકડ થયા બાદ CBI તપાસના કામે કે.રાજેશને સુરેન્દ્રનગર પણ લાવી શકે છે. આ મામલે જિલ્લામાં અનેક અટકળો વહેતી થઇ છે.