તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ઝકિયા જાફરીની ગુજરાત રમખાણ મામલાની અરજી કાઢી નાખવાની સાથે અરજી અંગે કરેલાં અવલોકનો બાદ સમાજસેવિક તિસ્તા સેતલવાડ અને ગુજરાતના પૂર્વ પોલીસ અધિકારી આર. બી. શ્રીકુમારની ગુજરાત પોલીસે ગુનાહિત કાવતરાના આરોપમાં ધરપકડ કરી હતી. જે બાદ ત્રણેયને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં હતાં. હવે સેશન્સ કોર્ટમાં તિસ્તા સેતલવાડની જામીન માટેની અરજીને પડકારતાં શુક્રવારે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(SIT)એ આરોપ કર્યો હતો કે તિસ્તા સેતલવાડને પ્રતિસ્પર્ધી રાજકીય પક્ષ તરફથી ગુજરાત સરકારને અસ્થિર બનાવવા માટે નાણાકીય સહાય મળી હતી.
SITએ પોતાના સોગંદનામામાં કેટલાક સાક્ષીઓનાં નિવેદન ટાંક્યાં હતાં અને કહ્યું હતું કે આ સમગ્ર કાવતરું કૉંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલના ઇશારે રચાયું હતું. હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે SITએ જણાવ્યું હતું કે તિસ્તા સેતલવાડે અહમદ પટેલ સાથે મિટિંગો યોજી હતી, જેમાં પ્રથમ વખત તેમને સાક્ષી મારફતે અહમદ પટેલના ઇશારે પાંચ લાખ રૂપિયા અને બે દિવસ બાદ વધુ 25 લાખ રૂપિયા અપાયા હતા. સોગંદનામામાં દાવો કરાયો છે કે તિસ્તા સેતલવાડને મળેલ આ પૈસા એ કોઈ રાહતફંડનો ભાગ નહોતા.