કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તેના ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું કે, રાજ્યનાં મુખ્યમંત્રી ના માર્ગદર્શન હેઠળ ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ લાવવા માટે ડ્રગ્સ પેડલરોની બાતમી આપનારને રિવોર્ડ આપવાની નીતિ અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતે 160 જેટલા કેસો કરીને 153થી વધુ ડ્રગ્સ પેડલરોને પકડીને 625 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. તે ઉપરાંત મહિલાઓ અને બાળ અત્યાચારના કેસોમાં રાજ્ય સરકારે 50થી વધુ કેસોનો ઝડપી નિકાલ કર્યો છે, જે નાગરિકોની સુરક્ષા માટેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજ્યના તત્કાલીન ગૃહ મંત્રી અને હાલના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ લેવાયેલા નિર્ણયોથી માત્ર ગુજરાતને જ નહિ, સમગ્ર દેશના નાગરિકોને ઇ-ગવર્નન્સ મારફતે મહત્વની સેવાઓનો લાભ ઘરે બેઠા મળી રહ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ આજે ગુજરાતના નાગરિકોને મોબાઈલ અને વાહન ચોરી જેવા ગુનાઓમાં ઘરે બેઠા e-FIR થઈ શકે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે.
હર્ષ સંઘવીએ ઉમેર્યું કે, રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો ત્યારથી અત્યાર સુધીમાં ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમએ ગુજરાતે અનેક નાગરિક કેન્દ્રિત નિર્ણયો લીધા છે. જેમાં આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પિત કરાયેલા ગુજરાત પોલીસના ટેકનોલોજી આધારિત ચાર નવા આયામનો પણ સમાવેશ થાય છે, જે રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષામાં વધારો કરવા ઉપરાંત તેમની સેવાઓમાં પણ વધારો કરવા મહત્વપૂર્ણ સાબિત થશે.
ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની પોલીસને આઘુનિક બનાવવા ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવી રહી છે, આ માટે વિશ્વાસ પ્રોજેક્ટ થકી1500 જેટલા ચોરીના કેસો, 950 અકસ્માતના કેસો તથા 700થી વધુ અન્ય કેસોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. ચોરાયેલા વાહનો તથા આરોપીઓને પકડવા માટે ત્રિનેત્રને પરિણામે સરળતા રહેશે. મોબાઈલ ચોરી તથા વાહન ચોરી અંગેની ફરિયાદ હવે e-FIRના માધ્યમથી એક ક્લિકથી ઓનલાઈન કરી શકાશે. એટલુ જ નહિ, આ e-FIR કર્યા બાદ પોલીસ કોઇ કારણસર એક્શન ન લઇ શકી તો આપોઆપ 120 કલાકમાં એફ.આઇ.આર રજીસ્ટર થઇ જશે. આ પ્રકારની વ્યવસ્થા થકી માત્ર રાજ્યના નાગરિકોનો જ નહિ, પરંતુ પોલીસ વિભાગનો પણ સમય બચશે.