અરવલ્લી જિલ્લામાં અધિકારીઓના વિકાસલક્ષી કામો માત્ર કાગળ પર થતાં હોવાના આક્ષેપ સાથે આદિવાસીઓ લોકોના હક્ક માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આદિવાસી અધિકાર મંચ દ્વારા મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે મોટી સંખ્યાંં આદિવાસી અધિકાર મંચના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને જમીનના હક આપવાની માંગ સાથે સુત્રોચ્ચાર કરી હતી. મુખ્ય આઠ જેટલી માંગણીઓને લઇને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
આદિવાસી અધિકાર મંચની મુખ્ય માંગણીઓ
1 જંગલની જમીનના કાયદા અનુસાર “વન અધિકાર કાનૂન-2005″ નો અમલ કરી જંગલની જમીન ખેડનારા દાવેદારોની માંગણી મુજબ જમીન ફાળવવામાં કરવામાં આવે.
2. આદિવાસી વિસ્તારમાં કાગળ ઉપર લાખો રૂપિયાના કામ ચાલે છે અને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રાજકીય નેતાઓ અને સરકારી અધિકારીઓ આદિવાસીઓના કામના પૈસા ચાઉ કરી જાય છે અને આદિવાસીઓને રોડ રસ્તા, પાણી અને વિકાસના કામો કાગળ ઉપર થાય છે અથવા તકલાદી થાય છે જેના માટે સીટની રચના કરી આવા ભ્રષ્ટ્રાચારને યુધ્ધના ધોરણે ખુલ્લો પાડો અને ભ્રષ્ટાચારીઓને સજા કરો
3. આદિવાસી વિસ્તારના ભીલોડા તાલુકાના મુખ્ય ગામ ઓડ ગામના વિકાસના કામો કે જે કાગળ ઉપર થયેલા છે અને તેમાં મોટો ભ્રષ્ટ્રાચાર થયેલ છે તેની વારંવાર અરજીઓ આપવા છતાં તેની કોઈ પણ તપાસ થયેલ નથી, જે બાબતે તપાસ કરવામાં આવે
4. ઓડ ગૃપ ગ્રામ પંચાયતના જુના નકશા પ્રમાણે પગદંડી રોડ કે નાળીયાના દબાણ દુર કરવાની વારંવાર કરવામાં આવેલી રજુઆત છતાંબાણ દુર કરેલ નથી જે દબાણ તાત્કાલિક દુર કરો. તેમજ ઓડ ગામના ચાર સ્મશાન પંચાયતના ઠરાવ મુજબ નિમવામાં આવેલ છે તે જગ્યા નક્કી કરી સ્થળ સ્થિતિ બતાવી તે જગ્યા ઉપર પાકા સ્મશાન બનાવી આપો.
5. જાતિના પ્રમાણપત્ર મેળવવામાં આદિવાસીઓને જુદી જુદી બાબતોના બહાના તળે પ્રમાણપત્ર ના મળે તેવુ જાણીજોઇને કરવામાં આવે છે, આવી અડચણ દૂર કરી પ્રમાણપત્રો આપવામાં આવે
6. આદિવાસી ન હોવા છતાં આદિવાસી અંગેના પ્રમાણપત્રો મેળવી આદિવાસીઓને મળતાં લાભ મેળવતાં બિન આદિવાસીઓના પ્રમાણપત્રો રદ કરો.
7.સરકારી નોકરી ધરાવતા અને ઈન્કમ ટેક્ષ ભરતા સિવાયના તમામ આદિવાસીઓને બી.પી.એલ. કાર્ડ આપો અને ઘર વિહોણા આદિવાસીઓને સહાય સાથેના પ્લોટ ફાળવો
8. નર્મદાનું પાણી આદિવાસી વિસ્તારમાં મળી રહે તે માટે તાત્કાલિક વ્યવસ્થા કરો.
આદિવાસી અધિકાર મંચ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.