અરવલ્લી જિલ્લા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભિલોડાના ધારાસભ્ય અનિલ જોષિયારાનું નિધન થતાં સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. બે મહિનાથી કોરોના સંક્રમિત થતાં તેઓને ચેન્નઈ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન નિધન થયાના સમાચાર આવતા તેમના સમર્થકો અને ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પૂર્વ આરોગ્યમંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશિયારાનું 69ની વયે અવસાન થતાં તેમના ગામ પણ શોકમાં સરી પડ્યું છે.
ડો.અનિલ જોષીયારાને એક મહિના પહેલા વધુ સારવાર અર્થે ચેન્નઈ લઈ જવામાં આવ્યા હતા. આ પહેલા તેઓ અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતા, પરંતુ ફેફસાં કામ ન કરી શકતાં તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એકમો ટેક્નિક દ્વારા તેમની સારવાર કરવામાં આવી હતી.
ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન તરીકે બજાવી હતી ફરજ
અનિલ જોષિયારાના જન્મ 24 એપ્રિલ 1953ના રોજ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ચુનાખણના ખાતે થયો હતો. તેઓણે 1979માં એમ.બી.બી.એસ અને 1983માં એમ.એસ.ની ડીગ્રી ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ત્યારબાદ તેઓ ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન તરીકે છ વર્ષ સેવાઓ આપી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 1989 થી 1992સુધી પોતાની સફળ તબીબી સેવાઓ આપી છે, આ સાથે જ તેઓ મેડિકલ એસોસિયેશનના સભ્ય રહી ચૂક્યા છે.
ગુજરાત સરકારમાં 1995થી 1997 સુધી આરોગ્યમંત્રી રહ્યા
ડૉ.અનિલ જોશિયારાની રાજકીય કારકિર્દીનો ઉદય 1995માં થયો હતો. તેઓ ભિલોડાથી ચૂંટાયા બાદ ગુજરાત સરકારમાં 1995થી 1997 સુધી આરોગ્યમંત્રી રહ્યા હતા.
5 ટર્મથી તેઓ ભિલોડાની બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા.
1998ની વિધાનસભા ચૂંટણીમાં સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી સામે તેમનો પરાજય થયો અને 1998થી 2002 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ આવેલી 2002, 2007, 2012, 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. સતત પાંચ ટર્મથી તેઓ ભિલોડાના ધારાસભ્ય પદે રહ્યા હતા.