સમગ્ર રાજ્યમાં તલાટીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાળ ચાલી રહી છે આ વચ્ચે વનવિભાગના કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. વનવિભાગના કર્મચારીઓની મુખ્ય માંગ ગ્રેડ પે વધારવાની છે અને ગ્રેડ પે બાબતે યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આગામી 29 ઓગસ્ટ 2022 ના રોજથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે. વન અને પર્યાવરણ વિભાગના મુખ્ય સચિવ વતી અરવલ્લી જિલ્લા નાયબ વન સંરક્ષક અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે.
અરવલ્લી જિલ્લાના વન વિભાગના કર્મચારીઓએ સાકરિયા નજીક આવેલી જિલ્લા વન સંરક્ષક અધિકારીને આવેદન પત્ર આપ્યું છે, જેમાં તેમની મુખ્ય માંગણીઓ છે કે, વન રક્ષક વર્ગ 3 ના કર્મચારીઓને 2800 નો ગ્રેડ પે, વનપાલને 4200 ગ્રેડ પે આપવો તેમજ રજાના દિવસે બજાવેલ ફરજના ભાગરૂપે રજા પગાર આપવો અને વનવિભાગના વનરક્ષકની ભરતી અને બઢતીનો રેશિયો 1:3 કરી આપવાની મુખ્ય માંગ છે.
વનવિભાગના કર્મચારીઓએ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, છેલ્લા બે વર્ષમાં અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઇ જ વિચારણા કરવામાં આવી નથી અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે વિભાગ દ્વારા આજદીન સુધી કોઇ કમિટી પણ બનાવવામાં આવી નથી. વનવિભાગના કર્મચારીઓએ આવેદન પત્ર આપતા ચીમકી ઉચ્ચારી છે કે, આગામી 29 ઓગસ્ટ સુધી જો કોઇ જ વિચાર કરવામાં નહીં આવે અથવા તો કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે.