ભાદરવા મહિનાની પૂનમના દર્શન કરવા માટે પદયાત્રીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, મોટા ભાગના પદયાત્રીઓએ અરવલ્લી જિલ્લામાંથી પસાર થઇ રહ્યા છે, જેમાં વડોદરા, છોટઉદેપુર, પંચમહાલ, દાહોદ તેમજ મહિસાગર જિલ્લાના પદયાત્રીઓનો સમાવેશ થાય છે ત્યારે દાહોદના પદયાત્રીઓને અરવલ્લી જિલ્લાના માલપુર નજીક અકસ્માત નડતા 6 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને માલપુર સામુહિક કેન્દ્રમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ જિલ્લાના લીમખેડા, અલાલી ગામના લોકો ભાદરવી પૂનમના દર્શન કરવા માટે અંબાજી દર્શન કરવા રથ લઇને જતાં હતા. આ રથ અરવલ્લી જિલ્લાના માલપુર નજીક આવેલા કૃષ્ણાપુરા પાટિયા નજીક ઘમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં મહારાષ્ટ્રા પાર્સિંગની કાર ના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ઈનોવા ચાલક ગોથુ ખાઈ જતાં પદયાત્રીઓને અડફેટે લીધા હતા, જેમાં 6 લોકોના મોત નિપજ્યા છે તો 10 લોકોને ઈજાઓ પહોંચી છે.
અકસ્માતની જાણ થતાં માલપુર પોલિસ તેમજ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સીન ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને માલપુર સામુહિક કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઇ જવાયા હતા.