વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે ગેરંટીઓ આપી રહ્યા છે. આ વર્ષે આમ આદમી પાર્ટી મેદાને છે ત્યારે સરકારી કર્મચારીઓના પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગેરંટી આપી છે, જેમાં પોલિસ કર્મચારીઓ, શિક્ષકો, એસ.ટી.બસના કર્મચારી, કરાર આધારિક કર્મચારીઓ, તેમજ બેરોજગારો માટે પણ અનેક જાહેરાતો કરી છે પણ જે નિશાન આમ આદમી પાર્ટીનું છે તેવા સફાઈકામદારો માટે હજુ સુધી કોઇ જ જાહેરાન નહી કરતા ગુજરાત વાલ્મિકી સંગઠને રોષ ઠાલવ્યો છે.
ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગતે જણાવ્યું કે, આમ આદમી પાર્ટીનું જે નિશાન ઝાડુ છે તેનો ઉપયોગ સફાઈકામદારો કરતા હોય છે, આજદીન સુધી તેઓની માંગણીઓ સંતોષવામાં આવી નથી, ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ ગાંધીનગર સુધી દંડવત યાત્રા કરીને ગયા હતા, જોકે વચ્ચે લોલપોપ આપી દીધી હતી અને આશ્વાસન આપીને પૂર્ણ કરાઈ હતી, જોકે આજદીન સુધી વાલ્મિકી સંગઠનના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી ત્યારે આમ આદમી પાર્ટીએ અનેક જાહેરાતો કરી છે પણ આજદીન સુધી તેમના સ્પર્શતા પ્રશ્નો અથવા તો તેઓની માંગ સંતોષાય તેવી ગેરંટી આપવામાં નથી આવી.
ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રમુખ લાલજી ભગત છેલ્લા ઘણાં વર્ષોથી સફાઈ કામદારોના પ્રશ્નો માટે લડત ચલાવી રહ્યા છે, જેમાં સમાન કામ, સમાન વેતન, સફાઈ કામદારોને કાયમી કરવા, એજન્સીઓની મનમાની પર રોક લગાવવી જેવા અનેક પ્રશ્નો છે ત્યારે આવા પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે તેવા પણ સવાલો કર્યા હતા.