અમદાવાદ મહાનગરપાલિકાના – નરોડા અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા મહિલા ડોક્ટર પર અત્યાચાર ગુજારવા સંદર્ભે ન્યાય અપાવવા બાબતે
આદિવાસી ડુંગરી ગરાસીયા જનરલ પંચ અરવલ્લી – સાબરકાંઠાના હોદ્દેદારો અને સામાજીક કાર્યકરો ધ્વારા ભિલોડા મામલતદાર કચેરીમાં આવેદન પત્ર અપાયું
અમદાવાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ નરોડા અર્બન હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા મહિલા ડો.સોનલબેન પાંડોર પર નરોડા વિસ્તારના કોર્પોરેટર વિપુલ પટેલ ઉર્ફે સોમાભાઈ પટેલે ગેરકાયદેસર મંડળી બનાવી એક સંપ કરીને ડોક્ટરની ચાલુ ફરજ દરમિયાન જ્ઞાતિ વિરુદ્ધ ઉચ્ચારણ કર્યું,હુમલો કર્યો,છેડતી કરી હતી.મંડળીના મળતીયાઓ સાથે મેળાપીપણામાં બોટલમાં ભરેલ ગંદુ પાણી પીવડાવેલ હતું.ખુન કરવાની ગર્ભિત ચિમકી ઉચ્ચારી હતી.આદિવાસી મહિલા ડોક્ટરની ચાલુ ફરજ દરમિયાન રૂકાવટ કરી અત્યાચાર ગુજારવા સંદર્ભે ન્યાય અપાવવા સંદર્ભે આદિવાસી ડુંગરી ગરાસિયા જનરલ પંચ અરવલ્લી – સાબરકાંઠાના હોદ્દેદારો અને સામાજીક આગેવાનો મણીલાલ અસારી,હિતેશભાઈ નિનામા,જશુભાઈ અસારી સહિત કાર્યકરો ધ્વારા ભિલોડા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર સંજયભાઈ પટેલને આવેદન પત્ર અપાયું હતું.
મહિલા ડોક્ટર પર અત્યાચાર ગુજારનાર કોર્પોરેટર અને તેનો સાગરીતો મનિષ ભરવાડ સહિત અનેક વ્યક્તિઓએ એકમત થઈ નિષ્ઠુર કૃત્ય કરેલ હોય તે સંદર્ભે આદિવાસી સમાજમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે.હાલના તબ્બકે તપાસ કરતા અધિકારી પાસેથી બદલીને નિષ્ઠાવાન,તટસ્થ અધિકારીને તપાસ કરવા સીટની રચના કરી સીટના માર્ગદર્શન હેઠળ તપાસ કરાવવી જોઈએ,કેસ ફાસ્ટટ્રેક કોર્ટ ધ્વારા ચલાવવા માટે ભલામણ કરવા માટે બળવત્તર માંગ સાથે ન્યાયિક રજુઆત છે.
આદિવાસી મહિલા પીડીત ડોક્ટર અને અમદાવાદ ખાતે રહેતા પરીવારને સરકારી ખર્ચે પોલીસ રક્ષણ આપવા સરકાર ધ્વારા આદેશ કરવા અપીલ કરાઈ હતી.સમગ્ર પ્રકરણમાં સંડોવાયેલ આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય અને કડક સજા થાય તે સંદર્ભે રાજ્યપાલ ને સંબોધી આવેદન પત્ર અર્પણ કરાયું હતું.