અરવલ્લી જિલ્લામાં ચાલતા સ્પા ની આડમાં ગોરખધંધાઓને લઇને જિલ્લાની જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણાં સમયથી અરવલ્લી જિલ્લા સેવા સદનની આસપાસના વિસ્તારોમાં ધમધમતા સ્પા ની આડમાં ગોરખધંધાને સ્પેશલ ઓપરેશન ગૃપની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવતા હવે લોકો જાગૃત થયા છે. મહિલાઓની ટીમ દ્વારા અરવલ્લી જિલ્લા પોલિસ વડા સંજય ખરાતને રજૂઆત કરવા પહોંચી હતી. અગમ ફાઉન્ડેશન, જમાત-એ-ઇસ્લામિક મહિલા વિંગ,ડિવાઈન ડ્રિમ વુમન ચેરિટેબલ ટ્રસ્ટ., ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને ભગીની સમાજની મહિલાઓ દ્વારા આવેદન પત્ર આપીને સ્પાની આડમાં ચાલતા ગોરખધંધા બંધ કરવાની ઉગ્ર માંગ કરી છે.
જિલ્લા એસ.ઓ.જી. ની ટીમ દ્વારા દરોડા પાડીને સ્પા ની આડમાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કરવા છતાં કોઇપણ સામાજિક સંસ્થઆઓ આગળ નહોતી આવી, જેને લઇને બે દિવસ પહેલા મેરા ગુજરાતમાં કોઇક સંસ્થાઓ આગળ આવે તે માટેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, ત્યારે આજે અગમ ફાઉન્ડેશન, જમાત-એ-ઇસ્લામિક મહિલા વિંગ,ડિવાઈન ડ્રિમ વુમન ચેરિટેબલ ટ્રસ્ટ, ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ અને ભગીની સમાજની મહિલાઓ આગળ આવી અને જિલ્લા પોલિસ વડાને રજૂઆત કરી હતી.
નાની નાની બાબતોમાં કેટલાક લોકો આવેદન પત્ર આપવા માટે પહોંચી જતા હોય છે, એટલું જ નહીં દેડકાની જેમ ફૂટી નિકળતા કહેવાતા સામાજિક આગેવાનો હજુ ક્યાં છે તે પણ સવાલો પણ લોકોના મનમાં ગૂંચવાઈ રહ્યા છે. વિદેશમાં બનતી ઘટનાઓને લઇને સોશિયલ મીડિય પર ફોટો ચમકાવવાની આવેદન પત્ર, રેલી તેમજ મૌન પાડવાના કાર્યક્રમો કરતા હોય છેે. પણ મોડાસા શહેરમાં જગજાહેર ચાલતા અને શૈક્ષણિક નગરીને બદનામ કરતા અને સ્પા ની આડામાં ચાલતો ગોરખધંધા તેમજ તેનું સંચાલના કરનાર ઇસમો કેમ નથી દેખાતા તે પણ સવાલ છે. જે જગ્યાએ સ્પા ની આડમાં ગોરખધંધા ચાલતા હોય છે ત્યાં પણ કોઇકની મા, બેટી અથવા તો પત્નિ હોય છે, તો આવી શોષિત મહિલાઓને બચાવવા પુરુષો અથવા તો સામાજિક સંસ્થાઓ કેમ મગનું નામ મરી પાડવા તૈયાર નથી તે પણ લોકચર્ચાએ જોર પકડ્યું છે.
હાલ તો જાગૃત કેટલીક મહિલા સંગઠનો દ્વારા સ્પા ની આડમાં ચલતા ગોરખધંધાને બંધ કરાવવા જિલ્લા પોલિસ વડાને રજૂઆત કરી છે, ત્યારે પોલિસ તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું.