જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશનના ભાગ રૂપે, બુધવારે શ્રીનગર જિલ્લાના નૌગામ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી જેમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, તેમને શંકા છે કે આ વિસ્તારમાં વધુ આતંકવાદીઓ છુપાયેલા છે, તેથી ઓપરેશન હજુ પણ ચાલુ છે. સુરક્ષાદળો દ્વારા આ વિસ્તારમાં આતંકીઓ માટે સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોએ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતીના આધારે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જ્યારે આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જવાબમાં સુરક્ષા દળો તરફથી પણ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં આ એન્કાઉન્ટરમાં 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે જ્યારે ઓપરેશન હજુ પણ ચાલુ છે. જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો સહિતની વાંધાજનક સામગ્રી મળી આવી છે.
આ સમગ્ર મામલાને લઈને આઈજીપી કાશ્મીર વિજય કુમારે કહ્યું કે ‘પોલીસને મંગળવારે રાત્રે સમાચાર મળ્યા હતા કે શ્રીનગરના નૌગામમાં 3-4 આતંકીઓ છુપાયા છે. પોલીસ, આર્મી અને સીઆરપીએફએ સંયુક્ત રીતે ઓપરેશન શરૂ કર્યું. ઓપરેશન પૂર્ણ થયું જેમાં લશ્કર-એ-તૈયબાના 3 આતંકવાદીઓ માર્યા ગયા. આ આતંકીઓ પાસેથી AK-47 અને 2 પિસ્તોલ મળી આવી છે.