રાજ્યમાં વ્યાજખોરીના દુષણને ડામવા રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે, રાજ્યના ગૃહમંત્રીએ પણ પોલિસને કડક સૂચનાઓ કરતા હવે પોલિસ ઠેર ઠેર લોક દરબાર યોજી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરશે તેવી લોકો રાહ જોઈને બેઠા છે.
અરવલ્લી જિલ્લા પોલિસ તંત્ર દ્વારા મોડાસા ખાતે વ્યાજખોરીના દુષણને ડામવા તેમજ પીડિત લોકોના મનની વાત સાંભળવા ટાઉન પોલિસ મથકે લોક દરબાર યોજ્યો હતો જ્યાં 11 લોકો વ્યાજખોરીનો ભોગ બનતા પોલિસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. માલપુર તાલુકાના સોનિકપુરના વતની જયપ્રકાશ કાંતિલાલ પટેલ પણ વ્યાજખોરોનો શિકાર બનતા ટાઉન પોલિસ મથકે પહોંચ્યા હતા. હાલ તેઓ છેલ્લા 25 વર્ષથી મુંબઈ રહે છે અને પનવેલમાં ધંધો કરે છે. તેમણે ધંધા માટે સબંધી પાસેથી 18 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. ટાઉન પોલિસ મથકે જિલ્લા પોલિસ વડા સંજય ખરાતને રજૂઆત કરવા પહોંચેલા જયપ્રકાશ કાંતિલાલ પટેલના જણાવ્યા અનુસાર તેમણે હર્ષદભાઈ પટેલ પાસેથી વર્ષ 2016માં 18 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા, જેનુ વ્યાજ દર મહિને ચુકવ્યું હતું. છેલ્લે 2019માં કુલ 26 લાખ રૂપિયા આપવાના હતા, જેમાં 9.5 લાખ રૂપિયા વ્યાજ ચુકવ્યું સાથે જ ફરિયાદીએ મોડાસાના દેવલ સિટીમાં આવેલ 18 લાખ રૂપિયાનો પ્લોટ પણ વેંચી 4 લાખ રૂપિયા ચુકવ્યા હતા, તેમ છતાં હજુ 50 લાખ રૂપિયા ચુકવવા માટે માંગણી કરવામાં આવી રહી છે અને ખોટી રીતે હેરાનગતિ કરાતી હોવાની ફરિયાદી જયપ્રકાશ પટેલે જિલ્લા પોલિસ વડાને રજૂઆત કરી હતી.
ફરિયાદી જયપ્રકાશે જણાવ્યું કે, 18 લાખની સામે 31 લાખ રૂપિયા ચુકવાયા છે તેમ છતાં 50 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું કે, ચેક બાઉન્સ કરીને દર મહિને તેઓને મોડાસા કોર્ટમાં આવવું પડે છે, જેથી તેમને આર્થિક રીતે ફટકો પડી રહ્યો છે. મુંબઈ થી મોડાસાના ધક્કા ખાવાનો વારો આવી રહ્યો છે, તેમ કહેતા જ ફરિયાદી ભાવૂક થય્યા હતા.
આ વાત પણ ધ્યાને આવી
વ્યાજખોરો લોકોને રૂપિયા તો આપે જ છે સાથે સહી કરેલા કોરા ચેક લઈ લેતા હોય છે, આવા કિસ્સાઓમાં વ્યાજખોરો તેમની મુડી તો વસૂલે છે સાથે સાથે વ્યાજ પણ વસૂલતા રહે છે, મુડી અને વ્યાજ વસૂલ કરી દીધા પછી પીડિત વ્યક્તિ પૈસા આપવાનું ના પાડે ત્યારે આવા કિસ્સાઓમાં કોરા ચેક ભરીને બાઉન્સ કરાવતા હોય છે, અને ત્યારબાદ કોર્ટમાં કેસ દાખલ કરી હેરાન કરાતા હોવાની પણ વાતો સામે આવી હતી. આવા કેસમાં સરકાર અને પોલિસે વિચારવું જોઈએ અને લોકો હેરાન ન થાય તે માટે વિચારવાની જરૂર છે.
આ સાથે જ મોડાસાના શાકભાજી વિક્રેતાઓ પાસેથી પણ વ્યાજખોરો મોટી રકમ વસૂલી કરી રહ્યા હોવાનો પીડિતોએ ફરિયાદ કરી હતી.