દક્ષિણ આફ્રિકાએ દર વર્ષે આફ્રિકાના 12 ચિત્તાઓ ભારતને આપવા માટે કરાર કર્યા છે. આ અંગેના સમજૂતી કરાર અનુસાર, આવતા મહિને 12 ચિત્તાઓની પ્રારંભિક બેચ દક્ષિણ આફ્રિકાથી ભારત લાવવામાં આવશે. ગયા વર્ષે નામિબિયાથી ભારતમાં લાવવામાં આવેલા આઠ ચિત્તાઓ બાદ હવે વધુ ચિત્તાઓ લાવવા માટે આ કરાર કર્યા છે.
છેલ્લી સદીમાં અતિશય શિકાર અને વસવાટની સમસ્યાઓના કારણે ભારતમાં ચિત્તોની પ્રજાતિ લુપ્ત થઇ ગઈ હતી. પરિણામે સરકારે બહારથી ચિત્તાની પ્રજાતિ ભારતમાં લાવવા માટે નામિબિયા અને આફ્રિકા સાથે કરાર કર્યા છે. આ કરારની દર પાંચ વર્ષે સમીક્ષા કરવામાં આવશે.
પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ પ્રોજેક્ટ ચિતાને પ્રોત્સાહક અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ગર્વની વાત ગણાવી હતી. એક ટ્વિટમાં, તેમણે કહ્યું કે, ચિત્તાઓને પુનઃસ્થાપિત કરવા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર માટે દૂરોગામી પ્રાથમિકતા છે. મંત્રીએ કહ્યું કે, ભારત દક્ષિણ આફ્રિકાથી ચિત્તાઓને આવકારવા માટે ઉત્સુક છે.