અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા થોડા સમય પહેલા ટ્રાફિકની સમસ્યાને લઇને મોડાસા ચાર રસ્તા પોલિસ ચોકીથી તલાટી ચોરા સુધી વન વે અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું, જેની અમલવારી થઈ રહી છે, પણ હવે બજાર વિસ્તારના વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. મોડાસા શહેરના મુખ્ય ચાર રસ્તાથી તલાટી ચોરા સુધીના વેપારીઓએ મોડાસા નગર પાલિકા ખાતે આ અંગે રજૂઆત કરી છે અને જાહેરનામુ રદ્દ થાય તેવી માંગ કરી છે.
મોડાસાના વેપારીઓએ નગર પાલિકાને લેખિતમાં રજૂઆત કરી છે કે, કલેક્ટર દ્વારા ચાર રસ્તાથી તલાટી ચોરા સુધી વન વે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે, જેને લઇને બજારમાં ગ્રાહકોની અવર-જવર ઓછી થઈ છે અને તેની સીધી અસર તેમના રોજગાર ધંધા પર પડી છે અને નુકસાન થઈ રહ્યું છે. વેપારીઓએ કોરોનાનો હવાલો આપતા જણાવ્યું કે, હાલતમાં કોરાનાને કારણે મહામંદીમાંથી બેઠા થયા છે.
મોડાસા નગર પાલિકામાં લેખિતમાં રજૂઆત કરતા વેપારીઓએ વન વે જાહેરનામાનો સખત વિરોધ દર્શાવી જાહેરનામાને રદ્દ કરવાની માંગ કરી છે. વેપારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમની માંગ નહીં સંતોષાય તો ગાંધી માર્ગે તેઓ આંદોલન કરશે.
ટ્રાફિકની સમસ્યાને લઈને વેપારીઓ કંઈક આવું માને છે
મોડાસા શહેરના વેપારીઓએ પાલિકાને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, દુકાનો આગળ લારીવાળાઓ ઊભા રહે છે, તેને કારણે ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે. સાથે જ વેપારીઓએ માંગ કરી છે કે, આ વિસ્તારમાં પોલિસ પેટ્રોલિંગ વધે અને દુકાનો આગળ ઊભી રહેતી લારીઓને હટાવી દેવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે છે.
થોડો સમય લારી હટાવવાની તજવીજ કરાઈ પછી…
મોડાસા શહેના ચાર રસ્તા થી બસ સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાનું મુખ્ય કારણ રસ્તા પર ઊભા રહેતા લારી ચાલકો છે, જેને લઇને ટ્રાફિકની સમસ્યાઓ સર્જાય છે. આ પહેલા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક ઝૂંબેશ શરૂ કરવામાં આવી હતી, ત્યારે ટ્રાફિક ની સમસ્યાઓ થી વાહન ચાલકોને મહદઅંશે રાહત મળી હતી, પણ હવે આ કામગીરી પર જાણે પૂર્ણ વિરામ લાગી ગયું હોય તેવું લાગે છે અને ફરીથી ચાર રસ્તાથી બસ સ્ટેશન સુધી ટ્રાફિકની સમસ્યા જૈસે સ્થે સ્થિતિમાં જોવા મળી રહી છે.