8.70 લાખની તસ્કરી કરી પલાયન , પોલીસ વિભાગ દોડતું થયું
સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સાંસદ દીપસિંહ રાઠોડ 12 એપ્રિલથી અમેરિકાના પ્રવાસે ગયા છે
સંસદ સભ્યના પુત્રએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વાઘપુર મુકામે નિવાસી આશ્રમ શાળાના ઓફીસના મકાનમાં રહેતા સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સાંસદ દીપસિંહ રાઠોડ 12 એપ્રિલથી અમેરિકાના પ્રવાસે ગયા છે. જેને લઈને નિવાસસ્થાન છેલ્લા અઠવાડિયાથી બંધ હાલતમાં હતું અને શુક્રવારે બપોરે ટ્રસ્ટી રણજીતસિંહ રાઠોડ આદર્શ નિવાસી શાળામાં તેમના પિતાના નિવાસસ્થાને આવ્યા ત્યારે રૂમનું તાળું તુટેલી હાલતમાં હતું. ત્યારે સાબરકાંઠાના સાંસદ અને પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામના રહીશના પુત્રના ઘરમાંથી ચાર દિવસ અગાઉ અજાણ્યા શખ્સોએ આવી નિવાસ શાળામાં આવેલ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી અંદાજે રૂા. ૮.૭૦ લાખની મત્તાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ ગુરૂવારે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી. જેને લઇને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પંચનામા સહિતની કાર્યવાહી કરી પોલીસે ડોગ સ્પોર્ટ અને એફએસએલની મદદથી તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
આ અંગે સાંસદના પુત્ર રણજીતસિંહ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ૧૭ એપ્રિલની રાત્રે અજાણ્યા શખ્સોએ વાઘપુર ગામે આવી નિવાસ શાળામાં આવેલ એક રહેણાંક ચોરી કરવાના ઈરાદે પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ અજાણ્યા શખ્સોએ લોખંડની તિજોરીમાંથી અંદાજે રૂા. ૪.૨૦ લાખની મત્તાની ૬ કિલો ચાંદી, અઢી તોલા સોનાની ચાર વીંટી મળી રૂા.૩.૫૦ લાખના કિંમતના સાત તોલા સોનાના દાગીના, રૂા. ૧ લાખની રોકડ મળી અજાણ્યા શખ્સો અંદાજે રૂા. ૮.૭૦ લાખની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા.જે અંગે રણજીતસિંહએ ગુરૂવારે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી તસ્કર રાજ ચાલી રહ્યું છે હવે જ્યારે સાંસદના પુત્રના ઘરમાં થયેલી ચોરી બાદ પોલીસતંત્ર !! તેમને કેવી રીતે અને કેટલા સમયમાં શોધશે. તે વિચારવું રહ્યુ. અનેક કિસ્સાઓમાં મહિનાઓ અને વર્ષો સુધી ચોરીના ગુનાના ભેદ ઉકેલાતા નથી. તે પણ પોલીસતંત્રએ સ્વીકારવું જોઈએ.
સાંસદ સભ્ય દીપસિંહના પુત્ર રણજીતસિહ શું કહે છે ?
આ અંગે આદર્શ નિવાસી આશ્રમ શાળાના ટ્રસ્ટી અને સાંસદના પુત્ર રણજીતસિહે જણાવ્યું હતું કે, મારા પિતા દીપસિંહ રાઠોડ જે ધારાસભ્ય બન્યા ત્યારથી આદર્શ નિવાસી આશ્રમ શાળાના કમ્પાઉન્ડમાં આવેલ ઓફીસના મકાનમાં રહે છે. સીસીટીવી કેમેરા પણ લગાવેલા હતા, પરંતુ વાવાઝોડું આવ્યું ત્યારે સીસીટીવીને નુકશાન થતા બંધ થઇ ગયા છે.