યુવાને જન્મદિવસે કંથારપુરા ગામમાં શહીદ વીરના પરિવારને ₹50,000 ની રસહાય કરીને દુઃખમાં સહભાગી થયા
Advertisement
ગાંધીનગર તાલુકાના સુપ્રસિદ્ધ ડભોડા ગામના એક યુવાનની દેશના વીર સૈનિકો પ્રત્યેની અનોખી દેશભક્તિ જોવા મળી હતી. ડભોડા ના સુરભા ઠાકોર (દ્વારકેશ જ્વેલર્સ ડભોડા) એ પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી. કંથારપુરા ગામમાં દોઢ વર્ષ પૂર્વે આર્મીમાં શહીદ થયેલા વીર જવાનના પરિવારને રૂપિયા 50 હજાર ની આર્થિક મદદ કરીને તેમના દુઃખમાં સહભાગી થયા હતા. જન્મદિવસની ઉજવણી આજના સમયમાં કોઈના દુઃખમાં સહભાગી થઈને કરવી એક અનોખી મિસાલ છે. કંથારપુરા ગામમાં રહેતા જયદીપસિંહ રૂપસિંહ સોલંકી ખૂબ જ નાની વયે આર્મીમાં જોડાયા હતા . ગત તારીખ 21- 10 – 2021 ના રોજ બીમારીના કારણે આ યુવાન લખનઉ ખાતે શહીદ થઈ ગયા હતા . જેમના અંતિમ સંસ્કાર ગાર્ડ ઓફ ઓનર સાથે કંથારપુરા ગામમાં કરવામાં આવ્યાં હતા.
જયદીપસિંહ ને પરિવારમાં ત્રણ દીકરીઓ માતા-પિતા તથા તેમના ધર્મપત્ની છે. પિતાની ઉંમર વૃદ્ધાવસ્થાએ પહોંચી હોવાથી પરિવારના ગુજરાન માટે આર્થિક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડતો હોય છે. સુરભા ઠાકોરને આ શહીદ વીરના પરિવાર વિશે જાણ થતા તેમને મદદ કરવા કંથારપુરા ગામે પરિવારના ઘરે પહોંચ્યા હતા અને જયદીપસિંહ માતા-પિતા તથા પત્ની જનકબાના હાથમાં આ સહાય સુપરત કરી હતી. વીર જવાનને હિમાંશી, તુષાબા તથા હિનલ નામે ત્રણ દીકરીઓ છે જે હાલમાં અભ્યાસ કરી રહી છે. આ સહાયથી દીકરીઓના અભ્યાસ માટે ખૂબ જ મદદરૂપ થશે એમ સુરભા ઠાકોરે જણાવ્યું હતું. આજના સમયમાં આવી વિચારસરણી અને આર્થિક સહાયની ભાવના રાખતા લોકો ખૂબ જ જુજ જોવા મળે છે. શહીદ વીર જયદીપસિંહ સોલંકીના પરિવારે સુરભા ઠાકોર નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. દેશ માટે સૈનિકો બોર્ડર ઉપર ફરજ બજાવે છે જ્યારે સમાજ માટે સુરભા જેવા સમાજ સેવકો આવી રીતે ફરજ બજાવીને ખૂબ જ મોટું ઉદાહરણ પૂરું પાડે છે. શહીદ પરિવારને મદદ કરવા માટે સુરભા ઠાકોર સાથે વિજુભા સોલંકીની પણ હાજરી રહી હતી